રાજ્યના 11 બંદરો પર 3 નંબરનું સિગ્નલ, ભારે વરસાદની આગાહિ વચ્ચે તોફાની બન્યા દરિયા
ગીર-સોમનાથ અને જામનગર સહિત સૌરાષ્ટ્રભરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા બંદર પર 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
Gir Somnath: ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં (Arabian Sea) સર્જાયેલા લો પ્રેશના પગલે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં કરંટ વધતા વહીવટી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધી 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. સાથે જ જામનગર સહિત સૌરાષ્ટ્રભરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા બંદર પર 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 1લી જુનથી જામનગરના બંદરો પર માછીમારી માટે પ્રતિબંધ લગાવી દેવાયો હતો. 1 જૂન બાદ માત્ર નાની બોટ અને તરાપાવાળાને જ મંજૂરી હતી. જો કે, હવે નાની બોટને પણ દરિયામાંથી બહાર આવી જવા સૂચના આપી દેવાઈ છે. મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચ, સહિતના બંદરો એલર્ટ પર છે.
ધાનપુરમાં વરસાદ સાથે ફૂંકાયેલા વાવાઝોડાએ સર્જી તારાજી
દાહોદના ધાનપુર તાલુકામાં વરસાદ સાથે ફૂંકાયેલા વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે કેટલાક લોકો બેઘર બન્યાં છે. તો 5થી વધુ મકાન જમીનદોસ્ત થયા છે. ધાનપુર, ધનાર પાટિયા અને વાંસીયાડુંગરીમાં ભારે નુકસાન થયું છે. અનેક વીજ થાંભલા જમીનદોસ્ત થતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો છે. મકાન જમીનદોસ્ત થતાં લોકોને ખાવા પીવાના પણ ફાંફા પડી રહ્યાં છે. તો બીજી તરફ ગરબાડાના ધારાસભ્ય અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યાં હતા અને મદદની ખાતરી આપી હતી. જ્યારે અસરગ્રસ્ત ગામોમાં તલાટીએ સર્વેની કામગીરી હાથ ધરી છે. સર્વે બાદ સરકારને રિપોર્ટ સોંપાશે.