Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો સૌરાષ્ટ્ર પ્રવાસ, સોમનાથ મંદિરે દર્શન કરીને ફૂંકશે ચૂંટણીનું રણશિંગું !
અમરેલી જિલ્લામાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આવી રહ્યા હોવાથી જિલ્લા ભાજપ, જિલ્લા સહકાર ટીમ, વિવિધ સહકારી મંડળી, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રીનાં સ્વાગત, આયોજન માટે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) 11 સપ્ટેમ્બરના રોજ અમરેલી તેમજ ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાની મુલાકાત લેશે. તેઓ સોમનાથ મંદિરમાં દેવાધિદેવના દર્શન કરીને ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. તેઓ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ પૈકી ગીર સોમનાથ અને અમરેલી (Amreli) જિલ્લાનો પ્રવાસ કરશે. તેઓ અમરેલી જિલ્લાની 7 સહકારી મંડળીની સામાન્ય સભામાં પણ ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે
આ અંગે થોડા દિવસ પહેલા આયોજિત પત્રકાર પરિષદમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી ખાતે અમરેલીની સહકારી મંડળીની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. જેમાં દબદબાભેર ગૃહમંત્રીને આવકારવામાં આવશે. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે અમિત શાહના આગમનથી અમરેલીના સહકાર વિભાગનો વિકાસ વેગીલો બનશે. અમરેલી જિલ્લા સહકાર સંસ્થાઓ દ્વારા સહકારથી સમૃઘ્ધિ નિયમ નીચે તમામ લોકોને રોજગારી મળે તેવા અનેક પ્રયાસો કરે છે અને આગામી દિવસોમાં વધુમાં વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે વધુ પ્રયાસો ટીમ સહકાર કરે છે. આમ અમરેલી જિલ્લામાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આવી રહ્યા હોવાથી જિલ્લા ભાજપ, જિલ્લા સહકાર ટીમ, વિવિધ સહકારી મંડળી, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રીનાં સ્વાગત, આયોજન માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા વધ્યા છે વરિષ્ઠ નેતાઓના પ્રવાસ
ગુજરાતમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે અવાર નવાર પ્રધાનમંત્રી મોદીથી માંડીને કેન્દ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની જનતાને આકર્ષવા માટે વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન મોદી (PM Modi )આવતીકાલે ફરીથી ગુજરાતના પ્રવાસે છે તેમના 10 સપ્ટેમ્બરના કાર્યક્રમોની વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી પરિષદનું ઉદ્ઘાટન PM ના હસ્તે કરવામાં આવશે. તો 2 દિવસીય આ પરિષદમાં તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો પણ ભાગ લેશે. તો બીજી તરફ શહેરીજનોને નવરાત્રિના પહેલા દિવસે મેટ્રો ટ્રેનની ગિફટ વડાપ્રધાન મોદી આપશે. વસ્ત્રાલ-થલતેજ, APMC અને મોટેરા મેટ્રો રુટની મેટ્રો ટ્રેન તૈયાર થઇ ગઇ છે. 3 કોચ સાથે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનમાં રોજ સરેરાશ 40 હજાર મુસાફરો સફર કરી શકશે. અત્યારે ટ્રેનને એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચતા માત્ર દોઢ મિનીટ થશે. અત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલુ છે.