વેકેશનની સિઝનમાં ટ્રાવેલ, રિસોર્ટ અને હોટેલ માલિકો ઉપર GST વિભાગના રાજયવ્યાપી દરોડા, મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારના દસ્તાવેજો મળી આવ્યા
રાજ્યના વિવિધ શહેરોમાં 40 જેટલા ટ્રાવેલ, હોટેલ અને રિસોર્ટ પર જીએસટી (GST)વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરોડાની કામગીરીમાં 400થી વધુ અધિકારીઓ જોડાયા હતા.
હાલમાં વેકેશનની (vacation)સિઝન ચાલી રહીછે અને પ્રવાસીઓ મન ભરીને ફરી રહ્યા છે ત્યારે સ્વાભાવિકપણે જ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી(Travel Industries) સાથે સંલગ્ન ઉદ્યોગોને સારી આવક મળી રહી છે. ત્યારે મળી રહેલી આવક બાદ પણ યોગ્ય પ્રમાણમાં જીએસટી ન ભરાતો હોવાને પગલે જીએસટીના અધિકારીઓએ હોટેલ, રિસોર્ટના માલિકો સામે તવાઈ બોલાવી હતી અને રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારના દસ્તાવેજો મળી આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ટ્રાવેલ એજન્ટે પેકેજ બુકિંગ પર 5 ટકા GST અને હોટલ બુકિંગ પર 12 થી 18 ટકા GST ભરવાનો હોય છે. જોકે સંચાલકો આમ ન કરતા રોકડ વ્યવહાર કરી લેતા હતા. આ દરોડામાં ગીર સોમનાથમાં સાસણ વિસ્તારની 29 હોટેલ અને રિસોર્ટની ચકાસણીમાં મોટી કરચોરી થઈ હોવાની વિગતો બહાર આવી છે. ટ્રાવેલ એજન્ટ રોકડમાં રકમ લીધા બાદ ટેક્સ ભરતા ન હોવાની વિગતો પણ સામે આવી હતી. ટ્રાવેલ બસો તેેમજ ટેકસીની આવકમાં પણ કરચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ પ્રકારની દરોડાની કામગીરી વર્ષ 2019માં પણ થઈ હતી.
ત્યાર બાદ કોરોના કાળના બે વર્ષ દરમિયાન પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા હતા. જોકે આ વર્ષે કોરોનાનો ડર હળવો થતા સહેલાણીઓ મોટા પ્રમાણમાં ફરવા નીકળી પડ્યા હતા અને પ્રવાસન ઉદ્યોગ સાથેના સંલ્ગન હોટેલ, રિસોર્ટ, વાહનોની આવકમાં ધરખમ વધારો થયો હતો. તેમ છતાં ટ્રાવેલ એજન્ટ, હોટેલ માલિકો રિસોર્ટ માલિકો દ્વારા યોગ્ય પ્રમાણાં જીએસટી ન ભરાતા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા.