Gir somnath : સોમનાથ રેલ્વે સ્ટેશનની થશે કાયાપલટ, મંદિરની પ્રતિકૃતિ જેવું બનશે રેલ્વે સ્ટેશન
વેરાવળ રેલ્વે સ્ટેશનના કમિટી મેમ્બર મુકેશભાઈ ચોલેરાએ જણાવ્યું હતું કે સ્ટેશનના રિડેવલપમેન્ટમાં ભારતીય સંસ્કૃતિ તેમજ સોમનાથ ધામના (Somnath Temple) પવિત્ર વારસાની ઝલક પણ જોવા મળશે.
ગીર સોમનાથ (Gir somnath) જિલ્લામાં આવેલા આદિ જ્યોતિર્લિંગ સોમનાથના (Somnath mandir) દર્શને દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા સોમનાથ રેલ્વે સ્ટેશનની (Somnath Railway Station) કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રૂપિયા રૂ. 134 કરોડના ખર્ચે અત્યાધુનિક રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે.
રેલ ડેવલપમેન્ટ અને ટૂરિઝમ વિભાગના સહયોગથી બનશે રેલ્વે સ્ટેશન
દિલ્હી ખાતેના રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ સાથે મળીને રૂ. 134 કરોડના ખર્ચે જિલ્લાના રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. વેરાવળ રેલ્વે સ્ટેશનના કમિટી મેમ્બર મુકેશભાઈ ચોલેરાએ જણાવ્યું હતું કે સ્ટેશનના રિડેવલપમેન્ટમાં ભારતીય સંસ્કૃતિ તેમજ સોમનાથ ધામના (Somnath Temple) પવિત્ર વારસાની ઝલક પણ જોવા મળશે. આ રેલ્વે સ્ટેશન એવું બનાવવામાં આવશે કે સોમનાથ રેલ્વે સ્ટેશને આવતા ભાવિકોને ટ્રેનમાંથી ઉતરતા જ સોમનાથ મહાદેવની નિશ્રામાં આવી ગયા હોય તેવી અનુભૂતિ થશે.
ટ્રેનના આગમન અને પ્રસ્થાન માટે અલગ અલગ લાઉન્જ ઉપરાંત પ્લેટફોર્મની સંખ્યા વધારવાનું પણ આ પ્રોજેક્ટમાં આયોજન છે. તો ઊર્જા બચત માટે પણ ગ્રીન એનર્જી કોન્સેપ્ટને અપનાવી સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનને તૈયાર થતા હજુ બે વર્ષ જેટલો સમય લાગશે, પરંતુ તૈયાર થયા બાદ સોમનાથનું આ રેલ્વે સ્ટેશન અત્યાધુનિક તેમજ વિશ્વસ્તરીય સુવિધા ધરાવતું રેલવે સ્ટેશન હશે તેવો આશાવાદ સંલગ્ન અધિકારીઓ સેવી રહ્યા છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સોમનાથ ખાતે પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેથી પ્રવાસીઓને ભોળાનાથના દર્શનમાં સુગમતા રહે.