Gir somnath: વાડલા અને ઉનામાં ખરાબ રસ્તા મુદ્દે ત્રસ્ત સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી
ગીર સોમનાથના વાડલા ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ રસ્તા પર પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે વધુ એક વખત તંત્રને સમસ્યા અંગે રજૂઆત કરી છે હવે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગામલોકોએ આવનારી વિધાનસભાની ચૂંટણીનો (Vidhansabha Election) બહિષ્કાર કરવાની ચીમકી આપી છે
ગીર સોમનાથના (Gir somnath) તાલાળા તાલુકાના વાડલા ગામે દર વર્ષે ચોમાસામાં (Monsoon 2022) રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જાય છે પાણી ભરાઈ જતા રસ્તા પરથી વાહનોને પસાર થવું મુશ્કેલભર્યું બની જાય છે ભારે વરસાદમાં ગામમાં પ્રવેશ બંધી જેવું થઈ જતા ગામ અન્ય શહેર અને ગામડાંથી છૂટું પડી જાય છે અને આ સમસ્યા આજકાલની નથી, પરંતુ ગ્રામજનો છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામલોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ રસ્તા પર પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે વધુ એક વખત તંત્રને સમસ્યા અંગે રજૂઆત કરી છે હવે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નાગરિકોએ આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે
સમસ્યાનો નિકાલ ન આવતા ગ્રામજનો આકરા પાણીએ
સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના વાડલા ગામે ગામમાં આવવાના રસ્તામાં ભરાતા પાણીની સમસ્યા પાંચ વર્ષથી યથાવત છે , વરસાદની પરિસ્થિતમાં તો ગ્રામજનો એટલી હદે કંટાળી જાય છે કે તેઓ અન્ય શહેર અને ગામથી વિખૂટા પડી જાય છે. ક્યારેય કોઈ માંદગીની પરિસ્થિતિ હોય તો દર્દીને વરસાદની પરિસ્થિતિમાં બહાર લઈ જવાની પણ સમસ્યા સર્જાય છે. આથી ગ્રામજનોએ રાજકીય આગેવાનોને ચમકી આપી છે કે આગામી ચૂંટણીઓમાં સમગ્ર ગામ કોઈપણ પક્ષના આગેવાનોને ગામમાં પ્રવેશવા નહીં દે અને આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે.
ગ્રામજનો કોઈ પણ પાર્ટીને ગામમાં પ્રવેશવા ન દેવા મક્કમ
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષથી સરપંચ સહિત ગ્રામજનો અનેક જગ્યાએ અને રાજકીય આગેવાનોને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ગામના રસ્તામાં ત્રણથી પાંચ ફૂટ ભરાતા પાણી થી વરસાદમાં ગામ બેટ બની જતું હોય છે. આખરે ગ્રામજનોએ આગામી ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ કે આપ પાર્ટી કોઈપણ ને વાડલા ગામની અંદર પ્રવેશવા ન દેવા સાથે ચૂટણીનો બહીષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને ગામ લોકો આ ભરાતા પાણીનો વહીવટી તંત્ર તાકીદે ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે.
ઉનામાં જર્જરીત રસ્તાઓ અંગે સ્થાનિકોમાં આક્રોશ
તો બીજી તરફ ઉનામાં જર્જરીત રસ્તાઓ મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે અને 12 થી વધુ સંસ્થા દ્વારા શહેર ના અતિ બિસ્માર રસ્તાઓ મુદ્દે તંત્રને આવેદન આપવામાં આવ્યું છે. તો ઉના શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે પણ અત્યંત ખરાબ છે જેના લીધે નાના મોટા અકસ્માતો પણ થયા છે. આથી સ્થાનિકોએ ચીમકી આપી છે કે 10 દિવસ માં રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ચક્કાજામ કરવામાં આવશે અને આ મુદ્દે મામલતદારને આવેદન આપ્યું છે.