Cyclone Tauktae in Gujarat: અગાશી પર લગાવેલો મોબાઈલ ટાવર થયો ધરાશાયી, જાણો ક્યાં ઘટી ઘટના?
‘તાઉ તે’ વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડું ત્રાટક્યું છે અને આગામી કલાકોમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થશે.
Cyclone Tauktae in Gujarat: ‘તાઉ તે’ વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડું ત્રાટક્યું છે અને આગામી કલાકોમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થશે. વાવાઝોડાના બાહ્ય વાદળો સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે, જેને લઈને ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. 155થી 175 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફુંકાશે અને વાવાઝોડાથી 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે.
આ બધાની વચ્ચે ગીરસોમનાથ જિલ્લાના તલાલામાં એક મોબાઈલ ટાવર ધરાશાયી થવાના સમાચાર આવ્યા છે. દયાનંદ સોસાયટીમાં અગાશી પર લગાવેલા મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. ચક્રવાતના ભારે પવનના કારણે મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ જ જાનહાનિના સમચાર આવ્યા નથી. ગીરસોમનાથમાં હાલ 70થી 80 કિ.મી.ની ઝડપે પવન શરૂ થયો છે તો સાથે ધીમી ધારે વરસાદની પણ શરૂઆત થઈ છે.
રાજયમાં અન્ય નુકસાનીઓની જો વાત કરવામાં આવે તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવનથી 66થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. નવસારીના 16 ગામોમાં સાવચેતીના પગલે વીજ પૂરવઠો બંધ કરાયો છે તો 20 જિલ્લાઓમાં NDRFની 44 ટીમ તૈનાત છે તે હવે સ્થિતિ પર નજર રાખશે.
દીવ-વેરાવળમાં પણ અનેક હોર્ડિંગ્સ જમીન દોસ્ત થઈ ગયા છે. જાફરાબાદમાં વીજ ટ્રાન્સફોર્મર પડ્યું છે તો અત્યાર સુધીમાં 234 વીજ થાંભલા પડયા, કાચા મકાનો અને ઝૂંપડાઓને ભારે નુકસાન થયું છે. દરિયાકિનારાના 34 કાચા મકાનો તૂટી પડયા છે.
વાવાઝોડું જ્યારે ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે ગીર સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર પંથકમાં 80થી 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢને વધારે અસર થઈ રહી છે.
અમરેલી, ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક-ઠેકાણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે તો ગીર સોમનાથના તાલાલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો. કાંઠા વિસ્તારની સાથે મોરબી, વિરમગામ, ડભોઈમાં પણ સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસ્યો.
આ પાન વાંચો : Cyclone Tauktae in Ahmedabad: અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત