Girsomnath : કોડીનારના દેવળી ગામમાં અંગારા પર ચાલવાની પરંપરા, આવતું વર્ષ 12 આની રહેશે તેવું અનુમાન
Girsomnath : જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવી. કોડીનારનાં દેદાની દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારામાં(અગ્નિ-દેવતા)પર ચાલવાની પરંપરા યથાવત જોવા મળી.
Girsomnath : જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવી. કોડીનારનાં દેદાની દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારામાં(અગ્નિ-દેવતા)પર ચાલવાની પરંપરા યથાવત જોવા મળી. આસ્થાથી લોકો આપે છે આજે પણ અગ્નિ પરીક્ષા. આવતું વર્ષ 12 આની સારૂ જવાની હોળીની જ્વાળાઓ પરથી જાણકારોનું અનુમાન છે.
ગીર સોમનાથનાં દેવળી ગામના.10 હજારની વસ્તી ધરાવતા દેવળી ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી મોડિ રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર બીછાવી દેવામાં આવે છે. અને તે અંગારા પર ગામના યુવાનો વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધા પૂર્વક ચાલે છે.
વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે. જો કે આજ દીવસ સુધી કોઈને ઇજાઓ પહોંચી નથી. હોળીનાં દિવસે આ વર્ષે કેવો વરસાદ પડશે તેનો વરતારો પણ કાઢવામાં આવે છે. પવનની દિશા દ્વારા આ વરતારો ગામના વડીલો કાઢે છે. આ વખતે 12 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે.
હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેતવા ( અંગારા )ને કાઢી અમુક ફૂટ લંબાઇમાં પાથરી દેવામાં આવે છે. અને, ત્યાર બાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યાર બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે.
આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાઈ તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે. આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસુ 12 આની રહેશે. એટલેકે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે. ગામ લોકોનાં કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે. અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે.
રાજયભરમાં હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અનેક જગ્યાએ વર્ષો જુની પરંપરાને યથાવત રાખીને ઉજવણી કરાઇ છે. આવી ઉજવણી પાછળ આવનાર વર્ષનો વરતારો મેળવવામાં આવે છે. જેથી ખેડૂતો આને આધારે વાવણીની તૈયારીઓ આરંભતા હોય છે. ત્યારે, હોળીની જવાળાઓ પરથી આવતું વર્ષ સારુ રહેવાના એંધાણ હોવાનું જાણકારો જણાવે છે.