GCCI એ સીએમ રૂપાણીને લખ્યો પત્ર, ફરજિયાત રસીકરણ પ્રમાણપત્ર માટે વધુ એક મહિનાનો સમય માંગ્યો
ગુજરાતમાં ઉદ્યોગોએ રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે કર્મચારીઓની રસીકરણ માટેની મુદત 1 જૂનના બદલે 30 જુલાઇ સુધી લંબાવવામાં આવે.
ગુજરાત ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને લખ્યું કે, “અમે રસીકરણ(Vaccination)ડ્રાઇવ શરૂ કરી દીધી છે અને વેપાર અને ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ રસી લેવા પ્રોત્સાહિત કર્યા છે. જો કે હજી પણ ઘણા કર્મચારીઓને રસી લેવાની બાકી છે. તેમજ હાલ રસી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
ઉદ્યોગોને આર્થિક નુકસાન થશે
જીસીસીઆઈ(GCCI)ના પ્રમુખ નટુભાઇ પટેલે પત્રમાં જણાવ્યું છે કે, જો 1 જુલાઇથી ઉદ્યોગો અને વ્યવસાયોને રસીકરણ સ્ટાફ વિના કામ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો ઉદ્યોગોને આર્થિક નુકસાન થશે. પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગો અને વ્યવસાયિક સંસ્થાઓ ગયા વર્ષના કોરોના લોકકડાઉન અને પ્રતિબંધ પછી ભાગ્ય જ કાર્યરત થયા છે.
30 મી જૂન સુધી રસીનો પ્રથમ ડોઝ ફરજિયાત બનાવ્યો
સરકારે ગત અઠવાડિયે ગુજરાતમાં 30 મી જૂન સુધી તમામ વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાઓ ચાલુ કરવા માટે રસીનો પ્રથમ ડોઝ ફરજિયાત બનાવ્યો હતો. જેમાં આઠ મહાનગરપાલિકાઓ અને 10 મોટા શહેરો માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાજ્યભરના બાકીના ઉદ્યોગો માટે અંતિમ તારીખ 10 જુલાઈ નક્કી કરવામાં આવી હતી.
જો કે, રાજ્ય સરકારના આદેશ પછી ટીકાકરણની સંખ્યા ઓછી થઈ ગઈ હતી અને લોકો રસી લીધા વિના પાછા ફરતા જોવા મળ્યા હતા. રવિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રસી લીધા વિના ઘરે પરત આવનારા લોકોની માફી પણ માંગી હતી.જીસીસીઆઈએ સરકારને ઉદ્યોગોને ફરજિયાત રસીકરણ પ્રમાણપત્ર માટે વધુ એક મહિનાનો સમય આપવા માંગ કરી છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોનાની બીજી લહેરમાં 18 શહેરોને બાદ કરતાં અન્ય શહેરોમાં લોકડાઉનમાં છૂટછાટ પણ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 96 નવા કેસ નોંધાયા અને ૩ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. જ્યારે રાજ્યમાં 315 લોકો કોરોનાથી સાજા થયા હતા. હાલ રાજ્યમાં કોવિડ-19 ના સક્રિય કેસની સંખ્યા 3465 છે. જેમાંથી 14 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,09,821 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,49,125 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તેની સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,51,28,252 પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો : Rajkot : કોવિશિલ્ડ વેક્સિનની અછતને લઇને મેયર પ્રદિપ ડવએ આપ્યું નિવેદન