રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અભિયાન હેઠળ 45 લાખ વિદ્યાર્થીઓએ 30 હજાર શાળામાં પ્રવેશ મેળવ્યો
રાજ્યમાં 1775 દિવ્યાંગ બાળકોએ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને 2 કરોડ 52 લાખની રોકડ રકમ અને 26 કરોડની ચીજવસ્તુઓ લોક ભાગીદારીથી આપવામાં આવી હતી.
રાજ્યના 18,000 ગામોની 32,013 પ્રાથમિક શાળાઓ (Primary schools) માં 17માં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સફળતા વિશે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) એ આજે જાણકારી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અભિયાન હેઠળ 45 લાખ વિદ્યાર્થીઓ (students) એ 30 હજાર શાળામાં પ્રવેશ મેળવ્યો. જ્યારે આંગણવાડીમાં 2 લાખ 30 હજાર બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ લીધો. ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે ભાજપના 52 હજારથી વધુ કાર્યકરો શાળા પ્રવેશોત્સવમાં સામેલ થયા. આ અભિયાનમાં પ્રધાનો, ધારાસભ્યો, સાંસદથી લઈ પદાધિકારીઓ જોડાયા હતા. રાજ્યમાં 1775 દિવ્યાંગ બાળકોએ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને 2 કરોડ 52 લાખની રોકડ રકમ અને 26 કરોડની ચીજવસ્તુઓ લોક ભાગીદારીથી આપવામાં આવી હતી.
શાળા પ્રવેશોત્સવની અત્યાર સુધીની સફળતા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ વર્ષ 2002માં 37.22% હતો, જે વર્ષ 2022માં ઘટીને માત્ર 3.07% પર આવી ગયો છે. રાજ્યના દરેક બાળકને શિક્ષણ મળે એ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ અનોખા કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે દર વર્ષે આવા અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે અને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરે છે.”