રાજ્ય સરકારે કોરોના સહાયનું નવું ફોર્મ જાહેર કરવાની સાથે મહત્વના આદેશ કર્યા
આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું છે. સહાય માટે જાહેર કરાયેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ દર્શાવવાનો રહેશે.
રાજ્ય સરકારે કોરોના સહાયનું નવું ફોર્મ જાહેર કરવાની સાથે મહત્વનો આદેશ કર્યો છે. મોડી રાત્રે આદેશ જાહેર કરાયો છે કે કોરોના મૃતકના પરિવારજનોને અરજીના ફક્ત 10 દિવસમાં સહાય ચૂકવી દેવામાં આવે. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આપેલા આદેશમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવાનું ઠરાવ્યું છે. આદેશની સાથે એક ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે.
આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું છે. સહાય માટે જાહેર કરાયેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ દર્શાવવાનો રહેશે.એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિનું સોગંદનામું અને બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે..
આ તરફ ગાંધીનગર શહેરી વિસ્તારના કુલ 61 કોરોના સહાય લાભાર્થીઓના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે. ઉલ્લખનીય છે કે સુપ્રીમકોર્ટે અગાઉ કોરોના સહાયની પ્રક્રિયાને જટિલ બનાવવા મુદ્દે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકાર દ્વારા સહાય માટેની અરજીઓની ચકાસણી માટે સ્ક્રૂટિની કમિટિની રચના કરવામાં આવી હતી. આ મુદ્દે સુપ્રીમકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. એ પછી રાજ્ય સરકારે સ્ક્રૂટિની કમિટીની રચનાનો આદેશ રદ કર્યો હતો.
કોરોના મૃતક પરિવારોને સરકારે જાહેર કરેલી સહાય મેળવવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સહાય ફોર્મ ભરવા માટે દસ્તાવેજો મેળવવામાં લોકોના નાકે દમ અને આંખે આંસુ આવી રહ્યા છે. સહાય મેળવવા માટે MCCD સર્ટિફિકેટ મેળવવામાં લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે. સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા એએમસીના જન્મ મરણ સેન્ટર ખાતે સવારથી જ મૃત્યુના કારણનું સર્ટિફિકેટ મેળવવા માટે કોરોના મૃતકના પરિવારજનોની લાંબી લાઈનો લાગે અને ફોર્મ આપવા માટે પડાપડી થાય છે.
કોરોનામાં સ્વજન ગુમાવ્યા બાદ સહાય માટે પણ લાઈનો અને કોઈ વ્યવસ્થા ના હોવાને કારણે કોરોના મૃતકના સ્વજનોની આંખમાં આંસુ આવી ગયા છે. લોકોને એજ ખબર નથી કે સહાય મળશે કેવી રીતે. મૃત્યુના કારણનું સર્ટિફિકેટ મેળવવા માટે મૃત્યુનું કારણ દર્શાવતું ડેથ સર્ટિફિકેટ માંગતા લોકો 10-10 દિવસથી ધક્કા ખાય છે.
આ પણ વાંચો : Mumbai Attack: ઇઝરાયલમાં ભારતીયોએ 26/11 હુમલાના મૃતકોને કર્યા યાદ, હુમલામાં 6 યહુદીના પણ થયા હતા મોત