રાજ્ય સરકારે HRCT ટેસ્ટનો મહત્તમ ચાર્જ રૂ.3000 નક્કી કર્યો, વધુ ચાર્જ લેનારા સામે થશે કડક કાર્યવાહી
HRCT ટેસ્ટનો ચાર્જ ઘટાડ્યા પહેલા ગુજરાત સરકારે RT-PCR ટેસ્ટનો ચાર્જ પણ ઘટાડ્યો હતો.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી બાજુ રાજ્ય સરકાર કોરોના સંક્રમણ વચ્ચે એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. સરકારે હવે HRCT ટેસ્ટનો મહત્તમ ચાર્જ નક્કી કરી દીધો છે.
HRCTનો મહત્તમ ચાર્જ રૂ.3000 કરાયો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે કોરોનાના દર્દીઓને રાહત આપતા રાજ્ય સરકારે HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કર્યો છે. ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- HRCT THORAX ના ટેસ્ટનો મહત્તમ ભાવ રૂ.3,000 નક્કી કર્યો છે. આજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે.
કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે, અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે. કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે.
વધુ ચાર્જ લેનારા સામે કડક કાર્યવાહી થશે ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેન ના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.
અગાઉ RT-PCR ટેસ્ટનો ચાર્જ પણ ઘટાડ્યો હતો રાજ્ય સરકારે આગાઉ RT-PCR ટેસ્ટનો ચાર્જ પણ ઘટાડ્યો હતો. અગાઉ કોરોના RT-PCRમાટે લેબઉપર આવેલ દર્દી પાસેથી 1500 રૂપિયા વસૂલ કરતાં હતા જ્યારે દર્દી ત્યાં હોય ત્યાંજઈ સેમ્પલ લે ને RT-PCR કરી આપવાનો ચાર્જ રૂપિયા 2000 હતો. જેને ઘટાડીને રાજ્ય સરકારે RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં 800 રૂપિયામાં, જ્યારે દર્દી જ્યાં હોય તે સ્થળ ઉપરથી સેમ્પલ લેવા માટે રૂ.1100 ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે આ જાહેરાત કરતા કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય ગુજરાત સરકારે લીધો છે.