ટાસ્ક ફોર્સના સભ્ય દિલીપ માવલંકરનો સ્પષ્ટ અભિપ્રાય, ‘રાજ્યમાં કોરોના રસીકરણની પદ્ધતિ ખોટી’
ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ( Gandhinagar Indian Institute of Public Health) દ્વારા કરવામાં આવેલા સ્ટડિઝમાં રસીકરણની પદ્ધતિ ખોટી હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ( Gandhinagar Indian Institute of Public Health) દ્વારા કરવામાં આવેલા સ્ટડિઝમાં રસીકરણની પદ્ધતિ ખોટી હોવાનું સામે આવ્યું છે. ટાસ્ક ફોર્સના સભ્ય અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડૉક્ટર દિલીપ માવલંકરે (Dilip Mavalankar) જણાવ્યું હતું કે કોરોનાના કેસો ઘટાડવા માટે આખા રાજ્યમાં રસી આપવાને બદલે પહેલા 4-5 મોટા શહેરોના 70 ટકા લોકોને રસી આપવી જોઈએ. સમગ્ર દેશમાં 725 જિલ્લાઓમાંથી 50 જિલ્લાઓમાંથી 60 ટકા કેસો અને મોત થઈ રહ્યા છે.
ત્યારે તમામ જિલ્લાઓમાં રસી આપવાને બદલે આ 50 જિલ્લાઓમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવી જોઈએ. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મોટાપાયે રસીકરણ થવું જોઈએ. અત્યારે તમામ જિલ્લાઓમાં થોડા થોડા લોકોને રસી આપવામાં આવે છે તે પદ્ધતિ ખોટી છે. જો મહાનગરોમાં 70 ટકા લોકોને રસી આપવામાં આવે તો 60થી 70 ટકા કેસો તાત્કાલિક ઓછા થઈ જાય તેમ ડોક્ટર દિલીપ માવલંકરનું સ્પષ્ટ માનવું છે.
દિલીપ માવલંકરે જણાવ્યું હતું કે હજી કોરોના વાઈરસના કેસો ઘટતા બેથી ચાર અઠવાડિયાનો સમય લાગી શકે છે. અત્યારે ગુજરાતમાં કોરોના વાઈરસ પીક પર છે. જ્યારે કેસો સ્ટેબલ થશે, ત્યારબાદ ઘટવાની શરૂઆત થશે. સરકાર લોકડાઉન જાહેર ના કરે તો સંક્રમિત વિસ્તારમાં લોકોએ સ્વેચ્છાએ લોકડાઉન કરવું જોઈએ તેમ દિલીપ માવલંકરે જણાવ્યું હતું. સંપૂર્ણ નહીં પણ આંશિક લોકડાઉન જરૂરી છે.
આ પણ વાંચો: Ahmedabad : સિવિલના આરોગ્યકર્મીઓની ફરજનિષ્ઠાને સલામ, રજા લીધા વગર રાત-દિવસ ખડેપગે સેવામાં કાર્યરત