PM Modi Mother passed away : અનંતની સફરે નીકળ્યા હીરા બા, PM મોદીએ અગ્નિ સંસ્કાર કરીને ભારે હૈયે આપી માતાને વિદાય
PM Modi Mother passed away : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચીને માતા હીરાબાના અંતિમદર્શન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને જોઇને ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાને માતાને શીષ ઝુકાવીને નમન કર્યા હતા.
PM મોદીના માતા હીરાબાનું સવારે સાડા ત્રણ કલાકે 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ જાતે જ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. શતાયુ હીરાબાના નિધનના સમાચાર મળતા જ PM નરેન્દ્ર મોદી તાત્કાલિક ગાંધીનગર પહોંચી ગયા હચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચીને માતા હીરાબાના અંતિમદર્શન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને જોઇને ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાને માતાને શીષ ઝુકાવીને નમન કર્યા હતા.
મોદી પરિવારની લોકોને અપીલ
હીરા બાના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં પરિવારજનો ઉમટી પડ્યા હતા. હીરા બાના પિયરના અને સાસરીના સ્વજનો આ પ્રસંગે હાજર રહ્યા હતા. તો આ દરમિયાન મોદી પરિવાર તરફથી નાગરીકોને પોતાનું કાર્ય યથાવત રાખવા અપીલ કરવામાં આવી હતી. મોદી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, બાને શ્રદ્ધાંજલિ આપતા પોતાનું કાર્ય યથાવત રાખો એ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ છે. સાથે જ મુશ્કેલીના સમયે સાથ આપવા બદલ મોદી પરિવારે સૌનો આભાર માન્યો હતો.
પરિવારના સભ્યો ભારે હૈયે રડી પડ્યા
ભારે હૈયે માતાના અંતિમ નમન કર્યા બાદ હીરાબાની અંતિમયાત્રા કાઢવામાં આવી. જેમાં પુત્ર PM નરેન્દ્ર મોદીએ માતાને કાંધ આપી હતી.તો શબવાહિનીમાં પણ PM મોદી માતા સાથે રહ્યા હતા. માતા હીરાબાની અનંત સફર PM મોદી માટે આઘાતજનક હતી. PM મોદી ભાવુક જણાયા હતા. તો પરિવારના સભ્યો પણ ચોધાર આસુએ રડી પડ્યા હતા. હીરાબાની વસમી વિદાય તમામ માટે અકલ્પનિય હતી. સેક્ટર-30ના સ્માશાન ગૃહમાં હીરાબાની અંતિમવિધિ કરવામાં આવી હતી.
માતાને વિદાય
હીરા બાની તમામ અંતિમ વિધી ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાન ઘાટમાં હિંદુ ધર્મ અનુસાર કરવામાં આવી હતી. હીરા બાના શરીર પર ઘી લગાવવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાની અંતિમ પ્રદક્ષિણા ફરીને માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. આ દરમિયા અનેક સ્વજનો, સીએમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે જ હીરા બા પંચમહાભૂતમાં વિલિન થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને અંતિમ વિદાય આપતા સમયે ભાવુક થઇ ગયા હતા. તેમણે ભારે હૈયે માતાને અંતિમ વિદાય આપી હતી.
હીરા બાના નિધન પર ગુજરાત સહિત દેશભરના નેતાઓએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. વડનગરમાં બજારમાં બંધ પાળીને હીરા બાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા બાના અગ્નિ સંસ્કાર કર્યા બાદ સ્મશાન ગૃહથી રવાના થયા હતા. PM મોદી આજે રાત્રિરોકાણ ગાંધીનગરમાં રાજભવન ખાતે જ કરવાના છે. વડાપ્રધાન મોદીએ તેમના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રાખ્યા છે.