ગુજરાતમાં આ તારીખથી યોજાશે બાળકોના રસીકરણ માટે મેગા ડ્રાઈવ
ગુજરાતમાં મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જુથના બાળકોને કોવિડ-19ની કોવેક્સીન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને રસી(Children Vaccine) આપવામાં આવશે
ગુજરાતના(Gujarat) આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કહ્યુ હતુ કે રાજયમાં આગામી 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી 2022 સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જુથના બાળકોને કોવિડ-19ની(Covid-19) કોવેક્સીન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને રસી(Children Vaccine) આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં તા. 3 જાન્યુઆરી 2022 થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જુથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવનાર છે.
કોવિન પોર્ટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન 1 જાન્યુઆરીથી શરૂ થશે
મંત્રીએ ઉમેર્યું કે, 7 જાન્યુઆરી 2022ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થા ખાતે મેગાડ્રાઇવ કરી બાળકોને આવરી લેવામાં આવશે અને શાળાએ ન જતા બાળકો માટે 8 અને 9મી જાન્યુઆરી 2022 ના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે. આ માટે કોવિન પોર્ટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન 1 જાન્યુઆરી, 2022થી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન તા. 3જી જાન્યુઆરી, 2022 ના રોજથી શરૂ થનાર છે.
૩૩ લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ અપાશે
વધુમાં, આગામી 10 મી જાન્યુઆરી, 2022 થી સમગ્ર દેશમાં હેલ્થકેર વર્કર, ફ્રંટ લાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે. 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થી પોતાના ડોક્ટરની સલાહ મુજબ ‘રસી લઇ શકે છે, જેના માટે તેમણે કોઇપણ પ્રકારનું તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહિ. આ જુથમાં 6,24,092 હેલ્થ કેર વર્કર, 13,44,533 ફ્રંટ લાઇન વર્કર અને અંદાજીત 14,24,600 સાંઈઠ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓ મળી કુલ 33 લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવાનો થાય છે.
જે લાભાર્થીને કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધા બાદ 9 મહિના (39 અઠવાડિયા) પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. પ્રિકોશન ડોઝ અંગેની નોંધ કોવિન પોર્ટલ પરથી ઉપલબ્ધ કોંવિડ રસીકરણના સર્ટીફિકેટમાં પણ કરવામાં આવશે. એલીજીબલ લાભાર્થીને પ્રિકોશન ડોઝ માટે SMડથી પણ જાણ કરવામાં આવશે.
ઓમિક્રોનના કેસોમાં હળવા લક્ષણો જોવા મળ્યા
આરોગ્ય મંત્રી પટેલે ઉમેર્યું કે રાજ્યમાં કોવિડ-19 અંતર્ગત ઓમિક્રોનના જે કેસો નોંધાયા છે તે તમામ કેસોમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમને અગમચેતીના ભાગરૂપે દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જેનું માત્ર ને માત્ર કારણ ગુજરાતમાં જે રસીકરણનું અભિયાન હાથ ધરાયું અને નાગરિકોને સુરક્ષિત કરાયા છે તેને આભારી છે.
તેમણે ઉમેર્યું કે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને તા. 01 -12-2021 થી તા. 30-12 -2021 સુધીમાં 18,96, 458 રેપિડ તથા RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને પગલે પોલીસ સતર્ક, ધડયો આ એકશન પ્લાન
આ પણ વાંચો : કોરોનાના એપીસેન્ટર અમદાવાદમાં ફ્લાવર શો અંગે કોર્પોરેશને લીધો આ નિર્ણય