Gujarat કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ : સીએમ રૂપાણી
સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુધ્ધના ધોરણે સાવચેતીના પગલા રૂપે ઓક્સિજનની સંભવિત જરૂરીયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું
ગુજરાતે કોરોના(Corona) સામે લડત આપી બીજી વેવ કાબુમાં લેવામાં સફળતા મેળવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અને સેવા સંસ્થાઓના સહયોગથી આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર(Third Wave) સામે યુધ્ધના ધોરણે સાવચેતીના પગલા રૂપે ઓક્સિજનની સંભવિત જરૂરીયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ તેમ સીએમ રૂપાણી(CM Rupani) એ જણાવ્યું હતું
કથાકાર રમેશભાઇ ઓઝાની પ્રેરણા અને સહયોગથી પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટર ક્ષમતાની રૂપીયા ૭૫ લાખના ખર્ચે ઓક્સિજન ટેન્કનુ નિમાર્ણ થયુ તે અંગે મુખ્યમંત્રીએ કથાકાર રમેશભાઇ ઓઝાનો આભાર વ્યક્ત કરી આ પ્રકલ્પથી પોરબંદર જિલ્લામાં ઓકસીજન સપ્લાય મેળવવામાં રાહત થશે તેમ જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર સાંદિપની ગુરકુલના પ્રણેતા કથાકાર રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી કાર્યાન્વિત કરાયેલી ૨૦ હજાર લીટર ક્ષમતાની ક્રાયોજેનિક ઓકસીજનની ટેન્કનુ લોકાર્પણ કથાકાર રમેશભાઇ ઓઝાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અવસરે જણાવ્યું હતુ કે કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓક્સિજનનુ મહત્વ અને જરૂરીયાત સમજાવી દીધા છે.
ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેરના મુકાબલા માટે સંપૂર્ણ સજ્જ છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોના હજી ગયો નથી આપણે સૌ એ કોરોના પ્રોટોકોલ તેમજ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ,રસીકરણ વગેરેનું પાલન કરીને કોરોનાને હરાવવાનો છે.
આ પ્રસંગે પ્રસિધ્ધ કથાકાર રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે કોરોનાની મહામારી સામે લોકોની સારવાર માટે સરકાર દ્રારા ઝડપી કાર્યવાહી અને વ્યવસ્થાઓ કરવામા આવી છે. બીજી લહેર દરમિયાન આપણને ઓક્સિજનની જરૂરીયાત અનુભવાઇ.
સંભવિત ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજનની મુશ્કેલી ન પડે તે માટે આપણે સૌ આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ, કથાકાર રમેશભાઇ ઓઝાએ પોરબંદર ખાતે દાતાઓના સહયોગથી ઉભી કરવામાં આવેલી ટેન્કની માહિતી આપી સાંદિપની ના સૌ સાધકો અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય બાબુ બોખીરીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે કલેકટરએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે સાંસદ રમેશ ધડુક તથા રામભાઇ મોકરીયા વચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, અધિક કલેકટર એમ.કે. જોશી, નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા, પુર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, સિવિલ સર્જન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત અગ્રણીઓ અને તબિબો તેમજ સાંદિપની સંસ્થાના દાતાઓ તેમજ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.