Gujarat : મુખ્યમંત્રીનો કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય, 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા 31 જુલાઇ સુધી લંબાવાઇ
કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કર્ફ્યૂ રાત્રે 10 થી સવારે 8 સુધી અમલમાં છે. તે 31 જુલાઇ સુધી ચાલું રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોમાં થઇ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી આ કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કર્ફ્યૂ રાત્રે 10 થી સવારે 8 સુધી અમલમાં છે.
આ રાત્રિ કર્ફ્યૂની મુદત તા. 20 જુલાઇ મંગળવારે સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે તે 31 જુલાઇ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની સમય અવધિ હવે, તા. 1 ઓગસ્ટ સવારે ૬ કલાકે પૂર્ણ થશે.
કોર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તા.20 જુલાઇથી તેની ક્ષમતાના 60 ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે.
આવી સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તા.31 જુલાઇ સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે. અન્યથા આવા વોટર પાર્કસ કે પૂલ ચાલુ રાખી શકાશે નહિ.
રાજ્યમાં પ્રાયવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ તા.20 જુલાઇથી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.
તદઅનુસાર, પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે. પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના 75 ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે. (તમામ ડ્રાઇવર અને કંડકટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તે અનિવાર્ય રહેશે)
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં હોટલ, રિસોર્ટસ-રેસ્ટોરન્સ અને વોટર પાર્કસને એક વર્ષ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવા અગાઉ તા.7મી જૂને નિર્ણય કર્યો છે.
આ મુજબ રાજ્યમાં વોટર પાર્કસ માટે પણ ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ જ આકારવામાં આવશે પરંતુ ફિકસ ચાર્જ લેવાશે નહિ. મુખ્યમંત્રીએ હાલ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ નિયંત્રણના અન્ય નિયમો અને ગૃહ વિભાગ દ્વારા લાગુ કરાયેલા અન્ય નિયંત્રણો તા.31મી જુલાઇ સુધી યથાવત રાખવાની પણ સૂચનાઓ આપી હતી.