કમોસમી વરસાદને લઈને કૃષિ મંત્રીનું મોટું નિવેદન, “માર્કેટ યાર્ડમાં થયેલા નુકસાન માટે સરકાર જવાબદાર નહીં”
Gandhinagar: કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, માર્કેટ યાર્ડમાં થયેલા નુકસાન માટે સરકાર જવાબદાર નહીં રહે. જણાવી દઈએ કે ઘણા યાર્ડમાં પાક પલળી ગયાના અહેવાલ સામે આવ્યા છે.
Gujarat Weather : રાજ્યમાં કમોસમી વરસાદને (Unseasonal Rain) કારણે એક તરફ ખેડૂતો હેરાન થઇ ગયા છે. તો બીજી તરફ ઘણા માર્કેટ યાર્ડમાં (Market Yard) પાણી ભરવાથી પાક પણ પલળી ગયા છે. આ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) કહ્યું કે, માર્કેટ યાર્ડમાં થયેલા નુકસાન માટે સરકાર જવાબદાર નહીં રહે. માવઠામાં માર્કેટમાં રહેલા પાકને નુકસાન બદલ માર્કેટ યાર્ડની જવાબદારી રહેશે.
રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે ખેડૂતોને અગાઉ માવઠાની સૂચના અપાઈ હતી. ત્યારે અતિવૃષ્ટિના કિસ્સામાં 4 જિલ્લા બાદ વધુ 8 જિલ્લામાં પણ રાહત અપાઇ છે. રાઘવજીએ કહ્યું કે ‘છેલ્લા 2 દિવસથી માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. એવામાં ખેડૂત ચિંતામાં હોય તે સ્વાભાવિક છે. અમે ખેતીવાડીના અધિકારીઓને ચાંપતી નજર રાખવા અને જ્યાં વરસાદ થાય ત્યાં ખેડૂતોને કેટલી અને કેવા પ્રકારની અસર થાય છે, આ બધી બાબતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.’
ખેડૂતોના પાક પલળી ગયા હોવાની બાબતે રાઘવજીએ કહ્યું કે ‘અમને કોઈ ખેડૂતનો પાક પલળી ગયાની સત્તાવાર માહિતી હજુ સુધી મળી નથી. અને જો માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂતનો પાક પલળી જાય તો તેની જવાબદારી યાર્ડના સત્તાધીશોની છે. અમે રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને માવઠું અને નુકસાનીને લઈને ચેતવણી આપી હતી. તેથી ખેડૂતો માર્કેટમાં જાય નહીં અને માલ સલામત રાખે. તેમજ યાર્ડને પણ સૂચના આપવામાં આવેલી કે તેઓ ખેડૂતોનો પાક સલામત રાખે અને તે માટેની વ્યવસ્થા કરે.
તેમજ નવો માલ ખેડૂતો માર્કેટમાં વેચવા ન આવે તેના માટેની સૂચના સરકાર, ખેતીવાડી કહેતા અને પ્રેસ મારફતે આપવાનું રાઘવજીએ જણાવ્યું છે. જણાવી દઈએ કે ભાવનગરમાં 25 હજાર ગુણી માર્કેટ યાર્ડમાં પલળી ગઈ છે. આ વિશે પ્રશ્ન પુછાતા રાઘાવજીએ કહ્યું કે માર્કેટ યાર્ડમાં જે કોઈ માલ સામાન હોય તો તેની જવાબદારી યાર્ડની હોય છે. તેમજ યાર્ડ ઘણી વખત આ માલ માટે વીમા પણ ઉતરાવતા હોય છે. તેથી આ પરિસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડમાં માલને નુકસાન થાય તેની જવાબદારી સરકારની નથી રહેતી.
આ પણ વાંચો: મારું ગામ, મારી પંચાયત: કચ્છના આ ગામમાં કરોડોના કામોનો દાવો! ગટર અને એજન્ટોની સમસ્યાથી લોકો ત્રસ્ત
આ પણ વાંચો: ઘોર બેદરકારી: વરસાદમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં પાકની 25 હજાર ગૂણી પલળી ગઈ! સાવચેતીના અભાવે નુકસાન