Gandhinagar : મંત્રીઓના નિવાસસ્થાનને લઇને માન્યતા-ગેરમાન્યતા, 13 નંબરનો બંગલો જ નથી, 26 નંબરનો બંગલો સૌથી લકી
મુખ્યમંત્રીનું નિવાસસ્થાન એટલે કે એક નંબરનું મકાન અપશુકનિયાળ મનાય છે. જેથી 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે પ્રણાલી તોડી બંગલા નંબર 26માં રહેવાનું પસંદ કર્યું. અને, એક નંબરના બંગલામાં પોતાની ઓફિસ બનાવી હતી.
Gandhinagar : રાજયમાં નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચના થઇ ગઇ છે. ત્યારે જુના મંત્રીઓને તેમના નિવાસસ્થાનો ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. અને, નવા મંત્રીઓને નિવાસસ્થાનની ફાળવણી પણ કરવામાં આવી છે. ત્યારે આ મંત્રીઓનાં નિવાસસ્થાન બાબતે પણ કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે. જેને લઇને હાલ ફરી ચર્ચાઓ થઇ રહી છે.
નેતાઓ પણ કેટલીક માન્યતા- ગેરમાન્યતામાં માને છે. અને, તેઓ પણ શુકન-અપશુકનમાં માની રહ્યાં છે. નેતાઓ પોતાના સરકારી નિવાસસ્થાનને લઇને પણ લકી નંબર લેવાનું માને છે. અને, પોતાના લકી નંબરના નિવાસસ્થાનમાં રહેવાનું પસંદ કરે છે.
13 નંબર અપશુકનિયાળ, 26 નંબર સૌથી લકી તો 1 નંબર પણ અનલકી
ગાંધીનગરમાં મંત્રીઓના બંગલાઓને લઇને કંઇક આવી માન્યતા છે. આવી માન્યતાઓની આપણે વાત કરીએ તો જેમાં જે કોઈ મુખ્યમંત્રી 1 નંબરના બંગલામાં રહે તો તેમણે મુખ્યમંત્રીપદ ગુમાવવું પડી શકે છે. એટલું જ નહીં, મંત્રીઓના નિવાસ્થાનમાં 13 નંબરની બાદબાકી કરવામાં આવી છે. એટલે કે મંત્રીઓ માટે 13 નંબરનો બંગલો બનાવવામાં જ નથી આવ્યો. નોંધનીય છેકે ગાંધીનગરમાં રાજભવન પાસે જ મંત્રીઓ માટેના રહેણાંક આવેલા છે. જેમાં મંત્રીઓનાં કુલ 42 મકાનો આવેલા છે. જેમાં તમામ મંત્રીઓને નિવાસસ્થાન આપવામાં આવ્યા છે. પણ, તમામ મકાનોની સિરીઝમાં 13 નંબર રાખવામાં જ આવ્યો નથી. નેતાઓમાં માન્યતા છેકે 13 નંબર અપશુકનિયાળ છે. અને, 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A નંબર આપવામાં આવ્યો છે.
1 નંબરના બંગલામાં રહે તે 5 વર્ષનો કાર્યકાળ પુર્ણ કરી શકતા નથી
કેટલીક માન્યતાઓ તો પ્રણાલીની માફક અનુસરવામાં પણ આવે છે. જેમાં 1 નંબરનો બંગલો, એટલે કે મુખ્યમંત્રી નિવાસમાં જે CM રહે તેઓ 5 વર્ષનો શાસનકાળ પૂરો કરી શકતા નથી. આ બંગલામાં માધવસિંહ સોલંકીથી કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓ બન્યા પછી રહેવા આવ્યા અને તેમની સરકાર શાસનકાળ પૂર્ણ કરી શકી ન હતી.
નરેન્દ્ર મોદીએ 26 નંબરનું નિવાસસ્થાન પસંદ કર્યું હતું
મુખ્યમંત્રીનું નિવાસસ્થાન એટલે કે એક નંબરનું મકાન અપશુકનિયાળ મનાય છે. જેથી 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે પ્રણાલી તોડી બંગલા નંબર 26માં રહેવાનું પસંદ કર્યું. અને, એક નંબરના બંગલામાં પોતાની ઓફિસ બનાવી હતી. જોકે, આનંદીબહેન પટેલ સીએમ હાઉસમાં રહેવા ગયા નહિ તો પણ તેમને એક જ વર્ષમાં સત્તા છોડવી પડી હતી. જોકે, સીએમ રૂપાણી પણ 26 નંબરના બંગલામાં રહેવા ગયા હતા. અને, તેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.
ભૂતકાળમાં અમરસિંહને રહેવા માટે 26 નંબરનો બંગલો અપાયો હતો. એ પછી તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં રહેતા હતા. ચીમનભાઈનું અચાનક અવસાન થતાં મુખ્યપ્રધાનનો તાજ છબીલદાસના શીરે આવ્યો હતો.