‘ગાંધીનગરની વાતો’ ભાગ-5: ગાંધીનગર મનપાની ચૂંટણીને લાગશે કોરોનાનું ગ્રહણ? મુખ્યપ્રધાને ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને લખ્યો પત્ર
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલે મતદાન થવાનું છે જો કે હાલમાં તમામ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર કરતા ચૂંટણી મોકૂફ થાય એ માટે કવાયત કરી રહ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલે મતદાન થવાનું છે જો કે હાલમાં તમામ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર કરતા ચૂંટણી મોકૂફ થાય એ માટે કવાયત કરી રહ્યા છે. એનું કારણ છે ગુજરાતમાં વધી રહેલું કોરોનાનું સંક્રમણ. રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થયો છે, સારવાર માટે હોસ્પિટલમાં વેઈટિંગ છે. ત્યાં બીજી તરફ કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોમાં અંતિમવિધિ માટે સ્માશનમાં પણ વેઈટિંગ છે. આવી વરવી પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગરમાં મત માંગવા જનાર રાજકીય પક્ષને રીતસર પ્રજાના ગુસ્સાનો ભોગ બનવું પડે એવી બીક લાગી રહી છે.
ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં પણ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મનપાની ચૂંટણી લડી રહેલા કેટલાક ઉમેદવારો પણ કોરોના ગ્રસ્ત થયા છે. ત્યારે આવા સમયે જો મતદાન થાય તો તેના વરવા પરિણામ પણ આવી શકે છે, એવું ભાજપનું પણ માનવું છે. ત્યારે આજે CM વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.
CMએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. એટલુ જ નહીં ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજ પર રહેતા હોય છે, આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરી ગાંધીનગર મહાનગપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તે જરૂરી છે.
જો કે આ પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ રજુઆત કરવામાં આવી છે. Tv9 દ્વારા જ્યારે ચૂંટણી જાહેર થઈ હતી ત્યારે પણ આ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણીઓ કેટલી યોગ્ય? જો કે હજુ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી મોકૂફ રાખવાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ પ્રવર્તમાન સંજોગો અને રાજકીય પક્ષ દ્વારા કરાયેલી ભલામણને જોતા એવું ચોક્કસ લાગે છે કે આ વખતે ગાંધીનગર મનપાની ચૂંટણીને કોરોનાનું ગ્રહણ લાગશે.
આ પણ વાંચો: AHMEDABAD : ફાયરવિભાગમાં કોરોનાનો કહેર, બીજી તરફ ટેસ્ટિંગ ડોમ પર આરોગ્ય વિભાગની લાલિયાવાડી