Gandhinagar : બરોડા ડેરી વિવાદમાં સી.આર. પાટીલની મધ્યસ્થતા બાદ સમાધાન, પશુપાલકોને 27 કરોડ રૂપિયા ચુકવાશે
બરોડા ડેરીના સભાસદોને ભાવફેર આપવા મુદ્દે સમાધાનની બે-બે બેઠકો નિષ્ફળ રહ્યાં બાદ કેતન ઇનામદાર સહીતના ધારાસભ્યો પાટનગર ગાંધીનગર પહોંચ્યા હતા. અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી.
બરોડા ડેરીનો લાંબા સમયથી ચાલતો ગજગ્રાહ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની મધ્યસ્થતા બાદ ઉકેલાયો, ગાંધીનગરમાં મળેલી બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ધારાસભ્ય કેતન ઈનામદાર અને બરોડા ડેરીના સત્તાધીશો હાજર રહ્યાં, જેમાં સર્વાનુમતે પશુપાલકોને 27 કરોડ રૂપિયા ચુકવવાનો નિર્ણય લેવાયો છે, જે પૈકીના 18 કરોડ દશેરાના દિવસે જ બરોડા ડેરીના સભાસદોને ચુકવાશે, જ્યારે બાકીના 9 કરોડની રકમ આગામી માર્ચ સુધીમાં ચુકવી દેવાશે, આ નિર્ણયથી બરોડા ડેરીના લાખો બેથી સવા બે લાખ જેટલા પશુપાલકો અને સભાસદોને નાણાંકીય ફાયદો મળશે.
કેતન ઇનામદારે કેમ કર્યો વિરોધ ?
પશુપાલકોને સન્માનજનક ભાવ આપવામાં આવે એ મુદ્દે કેતન ઇનામદાર સહિત વડોદરાના mla ને ડેરી સામે બાયો ચઢાવી છે. ડેરી સત્તાધીશોનું કહેવું છે પશુપાલકોને સૌથી વધુ ભાવ આ ડેરી દ્વારા આપવામાં આવે છે. આ પહેલા પણ વડોદરાના mla પૂર્વ સરકારનું નાક દબાવી ચુક્યા છે.
અધિકારીઓ ગાંઠતા નથી એવી રજુઆત પૂર્વ સરકારમાં કેતન ઇનામદારે કરી હતી. સાથે જ મધ્ય ગુજરાતને પ્રતિનિધિત્વ મળતું નથી એમ કહી નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ યોગેશ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો હતો.
શું છે વિરોધ પાછળના કારણો વર્તમાન સમયમાં કેતન ઇનામદાર , શૈલેષ સોટ્ટા અક્ષય પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ ના કરતા અંદરખાને નારાજગી હતી. તો સાવલીમાં કુલદીપસિંહ રાઉલજી દ્વારા 2022 માટે અત્યારથી જ કેમ્પઈન શરૂ કરાયું છે. કુલદીપસિંહ દીનું પટેલના ગ્રૂપનો વ્યક્તિ હોવાથી કેતન ઇનામદારને ટીકીટ ના મળવાની ભીતિ છે. તો મધુ શ્રીવાસ્તવની દીનું પટેલ સાથે વ્યક્તિગત મતભેદ હોવાનું પણ જગજાહેર છે. ત્યારે હાલમાં તમામ mla ને નો રિપીટ થિયરીનો ડર છે. જો 2022 ના ટીકીટ ના મળે તો તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાશે તેવો ડર છે. જેના કારણે અત્યારથી પાણી પહેલા પાળ બાંધવા માટે તમામ mla એક થયા છે.
અગાઉની બેઠકો રહી હતી નિષ્ફળ
બરોડા ડેરીના સભાસદોને ભાવફેર આપવા મુદ્દે સમાધાનની બે-બે બેઠકો નિષ્ફળ રહ્યાં બાદ કેતન ઇનામદાર સહીતના ધારાસભ્યો પાટનગર ગાંધીનગર પહોંચ્યા હતા. અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી. આ બેઠકના પરિણામે આજે 22 સપ્ટેમ્બરે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ આખરે સકારાત્મક નિર્ણય આવ્યો છે.
ધારાસભ્યો અને હોદ્દેદારો વચ્ચે બેઠક રહી હતી નિષ્ફળ
20 સપ્ટેમ્બરે બરોડા ડેરીના હોદ્દેદારો અને ધારાસભ્યો વચ્ચે યોજાયેલી બેઠક પણ નિષ્ફળ રહી હતી. ધારાસભ્યો આક્રોશ પૂર્વક બેઠક છોડી ચાલી નીકળ્યા હતા. અને ધારાસભ્યોએ ચિમકી ઉચ્ચારી હતી કે, ગુરૂવારે હલ્લાબોલ ચાલું રાખવામાં આવશે. અને બરોડા ડેરી સામે ધરણાં કરવામાં આવશે. તો બીજી તરફ બરોડા ડેરીના ચેરમેને ભાવફેર નહીં થાય તેવી વાત કરી હતી, સાથે જ જણાવ્યું હતું કે, ડેરીએ પહેલેથી જ ભાવ વધારો કર્યો છે.
આ બેઠક બાદ ધારાસભ્ય કેતન ઈનામદારનું નિવેદન સામે આવ્યું હતું. Tv9 સાથેની ખાસ વાતચીતમાં કેતન ઇનામદારે કહ્યું કે સાંસદ રંજનબેન અને પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 15 સપ્ટેમ્બરે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોને ભાવફેર આપવામાં આવશે, જેમાં ડેરીના શાસકો ચુક્યા છે. MLA કેતન ઈનામદારે કહ્યું હતું કે ડેરીમાં હવે ભાવફેર સિવાય કોઈ વાત પણ નહીં અને સમાધાન પણ નહીં થાય.
આખરે ઘીમાં ઠામમાં ઘી રેળાયું, વિવાદનો સમાધાનકારી અંત
જોકે આખરે લાંબા વિવાદ બાદ સમસ્યાનો અંત આવ્યો છે. અને, ઘીના ઠામમાં ઘી રેળાઇ ગયું છે. અને, ગાંધીનગરમાં તમામ વિવાદનો સુખાકારી અંત આવ્યો છે.