ગુજરાતના શહેરી વિસ્તારોમાં પાણી અને ગટરની વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારે રૂ. 5128 કરોડ મંજૂર કર્યા
આ સંદર્ભમાં હવે બધા કામોના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને તથા ટેક્નિકલ એપ્રૂવલ મેળવીને તબક્કાવાર આ કામોનો વિવિધ અમલીકરણ સંસ્થાઓ અમલ કરશે.
ગુજરાત (Gujarat) ના નગરો-મહાનગરોમાં અમૃત 2.0 યોજનામાં હેઠળ 412 વિવિધ કામો માટે પ્રથમ તબક્કામાં રૂ. 5128 કરોડની દરખાસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના નેતૃત્વની કેન્દ્ર સરકાર (central government) એ મંજૂર કર્યા છે. જે અંતર્ગત ગુજરાત શહેરી વિકાસ મિશન-GUDM દ્વારા અમૃત 2.0 મિશન અંતર્ગત રૂ. 15 હજાર કરોડના કામો સ્ટેટ વોટર (Water) એક્શન પ્લાન અન્વયે ત્રણ તબક્કામાં હાથ ધરવાનું સુદ્રઢ આયોજન કરાયું છે. દેશના રાજ્યોમાં નગરો, મહાનગરોમાં 100 ટકા પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલી અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન-અમૃત 2.0 મિશન અન્વયે ગુજરાત સરકાર (Gujarat government) એ રજૂ કરેલી પ્રથમ તબક્કાના કામો માટેની રૂ. 5128 કરોડની દરખાસ્ત કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કરી છે.
ગુજરાત શહેરી વિકાસ મિશન GUDM દ્વારા સ્ટેટ વોટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 156 નગરપાલિકાઓ માટે રજુ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના 206, ભૂગર્ભ ગટર યોજનાના 70 તથા તળાવ નવિનીકરણના 68 અને બાગ-બગીચાના 68 મળી કુલ 412 કામોનો સમાવેશ થાય છે. સ્ટેટ હાઇપાવર સ્ટીયરીંગ કમિટિમાં રજુ કરવામાં આવેલી આ દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની એપેક્ષ કમિટી સમક્ષ તાજેતરમાં રજુ કરી હતી. એપેક્ષ કમિટીએ GUDM ની આ સંપૂર્ણ દરખાસ્તનો સ્વીકાર કરીને પ્રથમ તબક્કાના 412 કામો અમૃત 2.0 હેઠળ આવરી લેવા રૂ. 5128 કરોડની રકમ મંજૂર કરી છે.
આ સંદર્ભમાં હવે બધા કામોના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને તથા ટેક્નિકલ એપ્રૂવલ મેળવીને તબક્કાવાર આ કામોનો વિવિધ અમલીકરણ સંસ્થાઓ અમલ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઓક્ટોબર-2021માં પાંચ વર્ષ માટે લોંચ કરેલી અમૃત-2.0 યોજના અન્વયે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 100 ટકા પાણી પુરવઠા પહોચાડવાનો તેમજ 31 અમૃત શહેરોમાં 100 ટકા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા આ હેતુસર રૂપિયા 15 હજાર કરોડની રકમના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે 3 તબક્કામાં હાથ ધરવાનું વિસ્તૃત કાર્યઆયોજન કરવામાં આવ્યું છે. તદઅનુસાર, પ્રથમ તબક્કાના 5128 કરોડ રૂપિયાના 412 કામોને કેન્દ્ર સરકારે ત્વરિત મંજૂરી આપતાં રાજ્યના નગરો-મહાનગરોમાં જળવ્યવસ્થાપનના કામોમાં વેગ આવશે અને રાજ્યના નગરો-મહાનગરો કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનવાળી સરકારની મદદથી જળ આત્મનિર્ભરતા સાકાર કરશે.