ગુજરાતની વિકાસગાથા ઘરે ઘરે પહોંચાડાશે, વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત વિકાસ રથ દરેક ગામ ફરશે
ગાંધીનગરના (Gandhinagar) જિલ્લા વિસ્તારોમાં બે અને શહેરી વિસ્તારોમાં એક રથ 19 મી જુલાઈ સુધી પરિભ્રમણ કરશે. પંદર દિવસ દરમ્યાન 226 કામોનું લોકાર્પણ કરાશે અને 117 નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત થશે.
ગુજરાતના (Gujarat) 20 વર્ષના પુરુષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી (Development Journey) વાકેફ કરવા સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નું આયોજન કરાયું છે. ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં 5 જુલાઇ એટલે કે આજથી 19 જુલાઈ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે વિકાસ રથ ગામેગામ ફરશે. રાજ્યના પ્રોટોકોલ, ઉદ્યોગ, સહકાર અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા 5 જુલાઈએ સાંજે 5 વાગ્યે ચિલોડા (મોટા) ગામેથી ગાંધીનગર જિલ્લાની વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કરાવશે.
લોકોને મળતા લાભો ગામેગામ જઈને પહોંચાડાશે
ગુજરાતે 20 વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે. અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું હતું ત્યારથી ગુજરાતે સિદ્ધિઓના નવા શિખરો સર કર્યા છે. ત્યારે ગુજરાતની આ વિકાસયાત્રાને ગામેગામ લઈ જવાની સાથો સાથ લોકોને મળતા લાભો ગામે ગામ જઈને પહોંચાડવામાં આવશે.
117 નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત થશે
ગાંધીનગરના જિલ્લા વિસ્તારોમાં બે અને શહેરી વિસ્તારોમાં એક રથ 19 મી જુલાઈ સુધી પરિભ્રમણ કરશે. પંદર દિવસ દરમ્યાન ૨૨૬ કામોનું લોકાર્પણ કરાશે અને 117 નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત થશે. ગાંધીનગર જિલ્લામાં લોકહિતની વિવિધ યોજનાઓના 5695 લાભાર્થીઓને રૂ. 9.50 કરોડથી વધુ રકમની સહાયના લાભો ઘર આંગણે જઈને અપાશે. એટલું જ નહીં, વંદે ગુજરાત વિકાસયાત્રાના 15 દિવસ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં રૂ. 4.38 કરોડના 226 કામોનું લોકાર્પણ કરાશે અને રૂ. 2.78 કરોડના 117 નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે.
લોકહિતની યોજનાઓ જન-જન સુધી પહોંચશે
ગાંધીનગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો આજે ચિલોડાથી શુભારંભ થશે. ગાંધીનગરના જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બે રથ અને ગાંધીનગરના શહેરી વિસ્તાર તથા ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ વિસ્તારોમાં એક રથ પરિભ્રમણ કરશે. ગાંધીનગર જિલ્લાના ચિલોડાની સાથોસાથ કલોલ તાલુકાના ગોલથરા ગામેથી પણ વંદે ગુજરાત વિકાસયાત્રાનો આરંભ થશે.
નાગરિકોને ગુજરાતની ગૌરવગાથાથી કરાશે વાકેફ
આ યાત્રા ડીંગુચા, કાંઠા, નવા અને પલીયડ ગામોને આવરી લેશે. ગાંધીનગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રા નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ તો કરશે જ, સાથોસાથ ભાવિ વિકાસનો રાજમાર્ગ પણ કંડારશે.