‘ગાંધીનગરની વાતો’ ભાગ-1: વધતા જતાં કોરોનાના કેસ વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી કેવું લાવશે પરિણામ?
ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકા માટે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી તો ભાજપે પણ પાર્લામેન્ટ્રી બોર્ડમાં 11 વોર્ડ માટેના નામ નક્કી કરી દીધા છે
ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકા માટે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી તો ભાજપે પણ પાર્લામેન્ટ્રી બોર્ડમાં 11 વોર્ડ માટેના નામ નક્કી કરી દીધા છે, જેને 30 માર્ચે જાહેર કરવામાં આવશે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જો કે જેમ રાજ્યભરમાં કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે, ત્યારે ગાંધીનગર પણ આમાંથી બાકાત નથી. છેલ્લા એક સપ્તાહમાં ગાંધીનગરમાં 100થી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે.
ત્યારે આગામી દિવસોમાં યોજાવા જઈ રહેલી ચૂંટણી અને રાજકીય કાર્યક્રમોના કારણે આંકડાઓમાં વધારો થઈ શકે છે. આ અંગે નામના આપવાની શરતે એક સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને છેલ્લા એક વર્ષથી કોવિડની સ્થિતિ પર સીધી નજર રાખી રહેલા સિનિયર તબીબે જણાવ્યું કે ‘ચૂંટણીમાં ક્યારેય સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. હાલમાં ગુજરાતમાં ગરમીનું પણ પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ચૂંટણીના કારણે સંક્રમણ વધી શકે છે.” જો કે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ.મોના દેસાઈએ જણાવ્યું કે ‘તમામ વ્યક્તિના સ્વાસ્થ્યની સુરક્ષા હવે તેમના જ હાથમાં છે. દરેક વ્યક્તિએ સ્વ વિવેકથી વર્તવું જરૂરી છે તો જ કોરોનાથી રક્ષણ શક્ય છે”.
મહત્વનું છે કે ગુજરાતમાં પણ છેલ્લા 1 વર્ષમાં વધી રહેલા કોરોનાના કારણે અલગ અલગ ચૂંટણીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેની શરૂઆત રાજ્યસભાની ચૂંટણીથી થઈ હતી. માર્ચ 2020માં રાજ્યસભાની થનારી ચૂંટણીઓને 6 મહિના પાછી ઠેલવામાં આવી હતી. સાથે જ 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં કાર્યક્રમમાં પણ ફેરફાર કરાયો હતો. તેમજ 6 મનપાની ચૂંટણી પર 3 મહિના પાછી ઠેલવામાં આવી હતી. જો કે તમામ ચૂંટણી બાદ મોટી સંખ્યામાં રાજકીય પક્ષના કાર્યકર્તાઓથી માંડીને સામાન્ય લોકો સંક્રમિત થયા હોવાના સરકારી આંકડા સાક્ષી પૂરે છે. જો કે ગાંધીનગર મહાનગરપાલિકાની ટર્મ હજુ મે મહિનામાં પૂર્ણ થાય છે. બાકીની 6 મનપામાં ટર્મ પૂર્ણ થયાના 3 મહિના બાદ ચૂંટણી યોજાઈ હતી, જેમાં સૌથી મોટી મનપા AMC હતી.
જ્યારે ગાંધીનગર મનપા નવા સીમાંકન બાદ પણ 11 વોર્ડના વિસ્તારની છે પણ અહીં કોઈ ચૂંટણી કાર્યક્રમ લંબાવવામાં આવ્યો નથી. જો કે વિપક્ષ mla ગયાસુદ્દીન દ્વારા હાલ ચૂંટણી સ્થગિત કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી આગામી દિવસોમાં યોજાશે. મહત્વપૂર્ણ છે કે ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. Mla, મંત્રીઓ તેમનો સ્ટાફ પણ સંક્રમિત થઈ રહ્યા છે આ સપ્તાહમાં એકસાથે 4થી વધુ mla સંક્રમિત થયા જે કારણે વિધાનસભામાં સામાન્ય વ્યક્તિઓની અવરજવર પર પણ રોક લગાવવી પડી સાથે જ સાથે જ ધારાસભ્યો ને પણ વિધાનસભા સત્ર દરમ્યાન તેમના ક્વાર્ટર પર તેમજ ઓફીસ પર જરૂર ન હોય તો લોકોને મળવાનું ટાળવા સૂચન કરવામાં આવ્યું છે.
જો કે આ તમામની વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી યથાવત રાખવામાં આવી છે. આમ તો ચૂંટણીઓ દ્વારા જનપ્રતિનિધિની પસંદગી કરવામાં આવે છે, જેના કારણે લોકોની સમસ્યાનું સમાધાન આવે અને લોકોની સુચારુ શાસન મળી રહે, પરંતુ આ સમયે થઈ રહેલી ચૂંટણી એ લોકો માટે છે કે લોકોના ભોગે છે એ કહેવું મુશ્કેલ છે.ત્યારે સવાલ એ થાય છે કે વધતા કોરોના વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી કેવું પરિણામ લાવશે?
નોંધ: ‘ગાંધીનગરની વાતો’નો ભાગ-2 વાંચવા માટે જોડાયેલા રહો https://tv9gujarati.com/ પર.