Hardik Patel join BJP : કોંગ્રેસનો ‘હાથ’ છોડીને આવેલા યુવા નેતા હાર્દિક આજે કરશે કેસરિયા
યુવા નેતા હાર્દિક પટેલ આજે બપોરે ભાજપ (BJP )કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો ધારણ કરશે. કેસરિયો ધારણ કરતા પહેલા હાર્દિક પટેલ દુર્ગા પૂજા કરશે.
છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે અને કોંગ્રેસનો (Congress ) હાથ છોડીને યુવા નેતા હાર્દિક પટેલ આજે ભાજપમાં (BJP) જોડાઈ જશે. બપોરે બાર વાગ્યે ભાજપ કાર્યાલય કમલમ ખાતે હાર્દિક પટેલ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ અન્ય ભાજપ અગ્રણીઓની હાજરીમાં કેસરિયો ધારણ કરશે. તે અગાઉ હાર્દિક પટેલ સવારે પોતાના ઘરે દુર્ગા પૂજા કરશે ત્યાર બાદ છારોડી SGVP ખાતે ગૌદાન કરીને હાર્દિક પટેલ ગાંધીનગર કમલમ કાર્યાલય તરફ જવા માટે રવાના થશે. અને ત્યાં ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં કેસરિયો ધારણ કરશે.
હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનું કમળ ધારણ કરવાનો નિર્ણય કર્યો છે તેનો અંદાજો તેના છેલ્લા કેટલાક સમયના ટ્વિટ ઉપરથી આવી ગયો હતો. રામનવમીના દિવસે જ હાર્દિક પટેલે પીએ મોદીના ટ્વિટના જવાબમાં જય સરદાર લખ્યું હતું. તો કોંગ્રેસની રાષ્ટ્રીય ચિંતનશિબિરથી માંડીને દાહોદના આદિવાસી કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. આ તમામ સંકેતો આપતા હાર્દિક પટેલે 17 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાય સમયથી સોશ્યિલ મીડિયા દ્વારા અને કોંગ્રેસથી દૂર રહીને હાર્દિક પટેલે સ્પષ્ટ ચિત્ર આપી દીધું હતું કે રાજકીય કારર્કિર્દી આગળ વધારવા માટે તેમનો ઝોક ભાજપ તરફ છે. આ સંકેતો અને અટકળો વચ્ચે હાર્દિક પટેલ આજે 2 જૂનના રોજ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.
હાર્દિક પટેલને મળી શકે ચૂંટણી લક્ષી ભૂમિકા
હાર્દિક પટેલ એવા સમયે ભાજપમાં જોડાઈ રહ્યા છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી નજીક છે. આવા સમયે હાર્દિક પટેલને ભાજપમાં સ્ટાર પ્રચારકની ભૂમિકા મળી શકે છે અથવા તો પાટીદાર મતે અંકે કરવા ભાજપ હાર્દિકને કોઈ ચોક્કસ બેઠક પરથી ચૂંટણીમાં ઉતારી શકે છે.
હાર્દિક પટેલ 2015 થી શરૂ થયેલા પાટીદાર આંદોલનનું મુખ્ય ચહેરો બન્યા હતા અને ત્યારબાદ ઘણા ઉતાર ચઢાવમાં રહ્યા અને ઘણા વિવાદ (Controversy) સાથે સંકળાયા બાદ પણ હાર્દિક પટેલનું રાજકીય કદ વધતું ગયું, હાર્દિક પટેલ ની સાથે ના પાટીદાર અનામત આંદોલન સમિતિના સાથીઓથી અલગ હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાનો વિચાર કર્યો જ્યારે તેની સાથેના કેટલાક સાથીઓએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી.
હાર્દિક પટેલ અમદાવાદમાં થયેલા પાટીદાર આંદોલન પછી લોકોમાં જાણીતા થયા હતા. જે પછી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે પણ હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકેનું પદ આપ્યુ હતુ. જો કે હાર્દિક પટેલની કોંગ્રેસમાં સફર લાંબો સમય સુધી ચાલી શકી નહીં. હાર્દિક પટેલ કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ જોવા મળતા હતા અંતે તેમણે કોંગ્રેસના નેતૃત્વ સામે રોષ ઠાલવતો પત્ર લખી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતુ.
હાર્દિક પટેલે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર રાજીનામાનો (Resign) પત્ર શેર કર્યો હતો. હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું કેમ આપે છે તેના કારણો આ પત્રમાં જણાવ્યા હતા. હાર્દિક પટેલે ટ્વીટર પર રાજીનામાના પત્ર સાથે લખ્યુ હતુ કે ”આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. મને વિશ્વાસ છે કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.”
હાર્દિકે કોંગ્રેસ છોડતા પહેલા પણ ભાજપ સરકારના રામ મંદિર, સીએએ, એનઆરસી જેવા નિર્ણયોના વખાણ કર્યા હતા. જે બાદ ઘણા સમયથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. જેનો હવે અંત આવ્યો છે અને હાર્દિક પટેલ સત્તાવારી રીતે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે.