Gandhinagar : નવા મંત્રીમંડળની રચના પહેલા ભાજપમાં ભાંજગડ, સિનિયર નેતાઓની નારાજગીનો મામલો દિલ્લી પહોંચ્યો
ભાજપના 5 સિનિયર નેતાઓની નારાજગીને પગલે કોકડું ગૂંચવાયું છે. આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી હતી. એક બાજુ, રાજભવન ખાતે લગાવેલા શપથવિધિનાં પોસ્ટર હટાવી દેવાયા.
રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળની રચનામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. નવા મંત્રીમંડળની આજની શપથવિધિ અટકી પડી છે, અને હવે આવતીકાલે બપોરે શપથવિધિ યોજાશે. સિનિયર નેતાઓ નારાજ છે. તો મંત્રીઓની નારાજગીનો મામલો દિલ્લી સુધી પહોંચ્યો છે.
સિનિયરોની નારાજગીથી કોકડું ગૂંચવાયું
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપના 5 સિનિયર નેતાઓની નારાજગીને પગલે કોકડું ગૂંચવાયું છે. આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી હતી. એક બાજુ, રાજભવન ખાતે લગાવેલા શપથવિધિનાં પોસ્ટર હટાવી દેવાયા. અને સત્તાવાર જાહેરાત કરાઇ છે કે આવતીકાલે બપોરે 1.30 વાગ્યે રાજભવન ખાતે નવા પ્રધાનમંડળની શપથવિધિ યોજાશે.
સિનિયર નેતાઓની નારાજગી
સિનિયર નેતાઓની નારાજગી પર નજર કરીએ તો, ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફાર ઇચ્છી રહ્યા છે. અને મંત્રીમંડળમાંથી 90 ટકા પ્રધાનોને ડ્રોપ કરી દેવાય એવી શક્યતા છે. સાથે જ જૂના ચહેરાઓ સામે એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી ના થાય એ માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે.
જો આ ફોર્મ્યુલાનો અમલ થાય તો, પ્રદિપસિંહ જાડેજા, નીતિન પટેલ, કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગણપત વસાવા જેવા દિગ્ગજ નેતાઓનું પ્રધાન પદ છીનવાઇ શકે. આ સ્થિતિમાં રૂપાણી સરકારના પ્રધાનો નારાજ છે અને સમગ્ર મામલે દિલ્લી દરબારમાં પહોંચ્યો છે.
પ્રધાનોની ઓફિસ ખાલી કરાવાઇ
આજની હલચલ પર નજર કરીએ તો, વિસ્તરણ પહેલા દિગ્ગજ પ્રધાનોની ઓફિસ ખાલી કરાવવામાં આવી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણ આહિર, ઇશ્વર પરમારની સ્વર્ણિમ સંકુલની ખાતેની ઓફિસ ખાલી કરાવાઇ છે. તો બચુ ખાબડ વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસસ્થાન ખાલી કરવા સૂચના અપાઈ છે.
યુવા ચહેરોઓનો પાટીલના બંગલે જમાવડો
તો આ તરફ અનેક યુવા ચહેરાઓ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના બંગલે જોવા મળ્યા હતા. વહેલી સવારથી પાટીલના બંગલે એક પછી એક ધારાસભ્યોનો જમાવડો જોવા મળ્યો. જેમાં હર્ષ સંઘવી, મનીષા વકીલ, મનીષા સુથાર, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આમ નવા મંત્રીમંડળની રચના અગાઉ જ ભાજપમાં ભાજગડ શરૂ થઇ છે. અને ટોચના નેતાઓએ બળવાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે પક્ષના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલા સફળ થાય છે.