નર્મદા ડેમની જળ સપાટી વધી, ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત આજે ડેમના પાંચ દરવાજા ખોલાશે
નર્મદા ડેમની સપાટી 133.51 મીટર પર પહોંચી છે.મહત્વનું છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે,જેથી ડેમ મહત્તમ સપાટીથી માત્ર 5.17 મીટર દૂર હોવાથી ડેમના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી છે.
ગુજરાતમાં (Gujarat)મેઘરાજાની મહેરબાની યથાવત છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 75 ટકા કરતા વધુ વરસાદ (Rain) વરસી ચુક્યો છે. જેના પગલે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ગુજરાતમાં ઓવર ઓલ ડેમની વાત કરીએ તો 207 ડેમમાં એવરેજ 68.34 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તો નર્મદા ડેમમાં 133.51 મીટર પર પહોંચી છે. સતત વરસાદના પગલે નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે.ડેમની સપાટી હાલ 133.51 મીટર પર પહોંચી છે.
ડેમનું યોગ્ય લેવલ જાળવવા પાંચ દરવાજા ખોલવામાં આવશે
ડેમમાં પાણીની 232208 ક્યુસેક આવક થઈ છે,જ્યારે જાવક માત્ર 49487 ક્યુસેક છે. તમને જણાવી દઈએ કે,ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે,જેથી ડેમ મહત્તમ સપાટીથી માત્ર 5.17 મીટર દૂર હોવાથી ડેમના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી છે.ડેમનું યોગ્ય લેવલ જાળવવા આજે બપોરે 12 કલાકે નર્મદા ડેમના 5 રેડિયલ ગેટ 1 મીટર જેટલા ખોલી નર્મદા નદીમાં તબક્કા વાર 10 હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાશે.
કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા
નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતાને અનુલક્ષીને વડોદરા (Vadodara) જિલ્લા કલેકટર અતુલ ગોરે તકેદારીના ભાગ રૂપે નર્મદા કાંઠાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના આપી છે.આ ત્રણેય તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને ગ્રામજનો ને નદી કાંઠાથી સલામત અંતર રાખવા અને સાવધ રહેવા કહેવામાં આવ્યુ છે. તો બીજી તરફ કરજણ તાલુકાના નર્મદા કાંઠાના તમામ ગામોમાં સંપૂર્ણ સાવધાની રાખવા સંબંધિતોને સૂચના આપી છે.જરૂર પડ્યે નદી કાંઠા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા અને તમામ કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં રહેવા જણાવવામાં આવ્યું છે.