True Story Rajkot: પુત્રનું મોત થતાં સાસુ સસરાએ પુત્રવધુના લગ્ન કરાવીને કર્યુ કન્યાદાન, વાંચો આંખ ભીની કરી નાખતી સત્યકથા
રાજકોટના ગાંઘીગ્રામ વિસ્તારમાં પોતાના પુત્રનું મોત થતા સાસુ સસરાએ તેની પુત્રવધુનું કન્યાદાન કરાવીને તેના જીવનમાં ફરી ખુશીઓ ભરી હતી
True Story Rajkot: સાસુ સસરા(In Laws) દ્રારા પૂત્રવધુ પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો અનેક કિસ્સાઓ આપના ધ્યાને આવ્યા હશે પરંતુ રાજકોટ(Rajkot)માં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સમાજને નવી રાહ ચીંધે તેવો છે. રાજકોટના ગાંઘીગ્રામ વિસ્તારમાં પોતાના પુત્રનું મોત થતા સાસુ સસરાએ તેની પુત્રવધુનું કન્યાદાન કરાવીને તેના જીવનમાં ફરી ખુશીઓ ભરી હતી અને હવે એક સાસુ સસરા નહિ પરંતુ માતા પિતા(Father Mother) તરીકેની ફરજ અદા કરી હતી.
ગાંઘીગ્રામ વિસ્તારમાં આવેલા લાખના બંગલા પાસે આવેલા અક્ષરનગર શેરી નંબર 5માં રહેતા ધીરૂભાઇ જેઠવાના પુત્ર મુકેશભાઇનું જાન્યુઆરી માસમાં હ્દયરોગના હુમલાથી મોત થયું હતું જે બાદ મુકેશભાઇના 28 વર્ષીય પત્નિ જયાબેન અને તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી જો કે આટલી નાની ઉંમરે જયાબેન પર આ દુ:ખ તૂટી પડ્યું હતુ જે વૃધ્ધ સાસુ સસરા જોઇ ન શક્યા અને જયાબેનના ફરી લગ્ન કરાવીને તેમનું જીવનમાં ફરી ખુશીઓ લાવી દીઘી હતી.
મુકેશભાઇના લગ્ન મહારાષ્ટ્ર રહેતા જયાબેન સાથે 9 વર્ષ પહેલા થયા હતા.જો કે ગત જાન્યુઆરી માસમાં અચાનક જ મુકેશભાઇની હ્દયરોગના હુમલાથી મોત નીપજતા મોચી પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ..જયાબેન અને બંન્ને સંતાનોને એકલા જોઇને ધીરૂભાઇ અને તેના પત્નિ દરરોજ ભીની આંખ કરતા હતા અને આ દુખની ઘડીમાંથી જયાબેન અને તેના બંન્ને સંતોનોને સુખની ઘડી અંગે વિચાર કરતા હતા.
દરમિયાન સાસુ સસરા બંન્નેએ જયાબેનને પુન લગ્નનો વિચાર કર્યો અને પોતાની જ્ઞાતિ માં જ સારા છોકરાની તપાસ શરૂ કરી અને આ વાત પોતાના પરિવારજનોને કરી..સગાં સબંધીઓના પ્રયત્નોથી અમદાવાદનાં ઠકકરબાપાનગરમાં રહેતા અને મોચીકામ સાથે સીલાઈકામ પણ કરતા 38 વર્ષીય પરેશભાઈ વાઢેર અને તેના પરિવારજનોનો પરિચય થયો અને સગા સબંધીઓ વચ્ચે લગ્ન બાબતે ચર્ચા થઈ હતી.
બંન્ને પરિવારજનોની સંમતિ મળ્યા બાદ ઘીરુભાઇ અને તેના પત્નિએ સાસુ સસરા મટીને માતા પિતાની જેમ જયાબેનનું કન્યાદાન કર્યું અને તેના લગ્ન કરાવી દીધા.. રાજકોટ કોર્ટ ખાતે પરેશભાઈ અને જયાબેનના લગ્ન રજીસ્ટર થયા હતા અને ફૂલહાર વગેરે વિધી સાથે દંપતીએ નવા જીવનની શરૂઆત કરી હતી. સમાજમાં એક તરફ સાસુ વહુ વચ્ચે ઘરકંકાસના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ધીરૂભાઇ અને તેમના પત્નિએ એક પુત્રવધુને બીજા લગ્ન કરાવીને નવા જીવનની શરૂઆત કરાવી છે અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.