પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોના પરિવારજનોની હાલત કફોડી, માછીમારોને જેલમાંથી છોડાવવા ભારત સરકાર પાસે માગ
દિવના માછીમાર પરિવારની વૃદ્ધ મહિલાઓએ ટીવી 9ને જણાવ્યુ હતુ કે મારા પરિવારમાં મારા પતિ બીમાર છે. દીકરાઓ ઉપર અમારું જીવન નિર્વાહ ચાલતુ હતુ. જો કે હવે મુખ્ય કમાવાવાળા જ પાકિસ્તાન જેલમાં હોવાને કારણે પરિવાર વિખેરાઈ ગયો છે.
પોરબંદર (Porbandar)ના દરિયામાં ભારતીય જળ સીમા નજીકથી 5 ફેબ્રુઆરીના રોજ મેરાજ અલી નામની બોટનું પાકિસ્તાની મરીને અપહરણ (Kidnapping) કર્યું હતું. આ બોટમાં સવાર દિવના સાઉદવાડીના માછીમારો (Fisherman) આજે પાકિસ્તાની જેલ (Pakistani jail)માં કેદ છે. ઘરમાં કમાનાર જ પાકિસ્તાન જેલમાં બંધ હોવાના કારણે પરિવારજનોની હાલત કફોડી બની છે. જેથી માછીમારના પરિવારજનોએ સરકારને પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોને છોડાવવા માગ કરી છે.
સંઘ પ્રદેશ દિવના 75 ટકા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. જેથી દિવના માછીમારો પોરબંદર, ઓખા, દ્વારકા, માંગરોળ અને વેરાવળની માછીમારી બોટમાં કામ કરતાં હોય છે. ભારતીય જળ સીમા નજીકથી 5 ફેબ્રુઆરીના રોજ પોરબંદરની મેરાજ અલી નામની બોટ સાથે 11 માછીમારોના અપહરણ પાકિસ્તાન દ્વારા થયા હતા. જેના કારણે અપહરણ થયેલા 4 દિવના રહેવાસી માછીમારોના પરિવારો ચિંતામાં મુકાયા છે. પાકિસ્તાની જેલમાં કેદ રહેલા દિવના માછીમારોના પરિવારની હાલત કફોડી છે. ઘણા પરિવારોનું ગુજરાન ચલાવનાર ઘરનો મોભી પાકિસ્તાનની જેલમાં બંધ હોય તેવા પરિવારોની આર્થિક હાલત ડામડોળ થઈ ગઈ છે. માછીમારોના પરિવારજનો ભારત સરકાર પાસે તેઓના માછીમાર ભાઈઓને વહેલી તકે મુક્ત કરાવાય એવી ગુહાર લગાવી છે.
દિવના માછીમાર પરિવારની વૃદ્ધ મહિલાઓએ ટીવી 9ને જણાવ્યુ હતુ કે મારા પરિવારમાં મારા પતિ બીમાર છે. દીકરાઓ ઉપર અમારું જીવન નિર્વાહ ચાલતુ હતુ. જો કે હવે મુખ્ય કમાવાવાળા જ પાકિસ્તાન જેલમાં હોવાને કારણે પરિવાર વિખેરાઈ ગયો છે. દિવના માછીમારના પરિવારની મહિલાઓની ફરિયાદ છે કે છેલ્લા ઘણાં સમયથી અમે પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને જેલ મુક્તિ માટે અનેક વખતે રજૂઆતો કરતાં અમારી રજુઆતો કોઈ સાંભળતું નથી. જેથી પાકિસ્તાનની જેલમાં ગોંધાઇ રહેલા માછીમારોને વહેલી તકે જેલ મુક્ત કરાવવા અમારી માગ છે.
માછીમાર આગેવાન છગન બામણીયાએ ટીવી 9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માછીમારો વધુ માછલી પકડવા માટે દરિયામાં આગળ સુધી નીકળી જાય છે, ત્યારે માછીમારોને આંતરરાષ્ટ્રી જળસીમાનો અંદાજ નથી રહેતો અને પાકિસ્તાની મરીન દ્વારા પકડવામાં આવે છે. આ માછીમારો કોઈ આતંકવાદી કે જાસૂસ નથી હોતા છતા પાકિસ્તાની મરીન દ્વારા તેઓને કેદ કરી વર્ષો સુધી જેલમાં રાખવામાં આવે છે. પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને જેલ મુક્તિ માટે અનેક વખતે રજૂઆતો કરી છે, છતા અમારી રજુઆતો કોઈ સાંભળતું નથી.
આ પણ વાંચો-