Exams Alert: નર્મદ યુનિવર્સિટીની યુજી અને પીજીની ઓનલાઇન પરીક્ષા 11 ફેબ્રુઆરીથી લેવાશે
શહેરની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતકમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનું એલાન કરાયું છે. સ્નાતકના સેમેસ્ટર - એકથી પાંચના ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.
શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સની ઓનલાઈન પરીક્ષાની (Online Exams) નવી તારીખ જાહેર કરી છે. નવા પરીક્ષા શિડયુલ મુજબ ચોથી ફેબ્રુઆરીએ મોક ટેસ્ટ યોજાશે. નર્મદ યુનિ.એ તાજેતરમાં પરીક્ષાનો નવો શિડયુઅલ જાહેર કરી દીધો છે. નવા શિડયુલ પ્રમાણે અંડર ગ્રેજ્યુએટના એકથી પાંચ સેમેસ્ટર, પોસ્ટ ગ્રેજ્યુએટના એકથી ત્રણ અને ઈન્ટિગ્રેટેડના એકથી નવ સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઈન યોજાનારી છે.
આ શિડયુલ પહેલા યુનિ.ગત 12 જાન્યુઆરીએ મોક ટેસ્ટ અને 27 જાન્યુઆરીએ મેઈન ઓનલાઈન એક્ઝામ શરૂ થનારી હતી. પરંતુ કોવિડ -19 ના કેસોની સંખ્યામાં ઉછાળો થતાં મોક ટેસ્ટની સાથે મેઈન ઓનલાઈન એક્ઝામ મોકૂફ કરવાની ફરજ પડી હતી. યુનિ.એ અગાઉ પાછળ ધકેલી પરીક્ષા હવે નવેસરથી લેવા તૈયારી કરી લીધી છે. યુનિવર્સિટીએ એક પરિપત્ર જાહેર કરી તારીખો જાહેર કરી છે. જે મામલે નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું છે.
નોટિફિકેશન મુજબ ફેબ્રુઆરી મહિનાની ચોથી તારીખે મોક ટેસ્ટ યોજાશે અને 11 ફેબ્રુઆરીથી મેઈન ઓનલાઈન એક્ઝામ શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આદેશ કર્યો છે કે મોક ટેસ્ટ અને રેગ્યુલર ઓનલાઈન પરીક્ષાઓ કોલેજ કે ડિપાર્ટમેન્ટ પર જઈને આપવાની રહેશે. મોક ટેસ્ટ વિધાર્થીઓ ઘર નજીકની કોઈ પણ કોલેજથી આપી શકશે.
યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સૂચના આપતા કહ્યું છે કે પરીક્ષા શરૂ થવાના 10 મિનિટ પહેલા લોગીન થવાનું રહેશે અને પાછળના એક કલાકમાં પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા શરૂ થયાના મોડામાં મોડુ 20 મિનિટ સુધીમાં લોગીન થવાનું રહેશે અને તે પછી લોગીન થઈ શકશે નહીં. પરીક્ષામાં મોડા લોગીન થનારા વિદ્યાર્થીઓને પાછળથી સમય આપવામાં આવશે નહીં.
શહેરની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતકમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનું એલાન કરાયું છે. સ્નાતકના સેમેસ્ટર – એકથી પાંચના ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. સ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 22મી જાન્યુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
અનુસ્નાતકમાં પ્રવેશ પ્રક્રિયા આવતીકાલથી શરૂ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2022–2023 માટે અનુસ્નાતકમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા જાહેરાત કરાઈ છે. પીજી માટે વિદ્યાર્થીઓ 22મી જાન્યુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. પીજીના એડમિશન માટે વિદ્યાર્થીઓ સ્નાતકના સેમેસ્ટર એકથી પાંચના પરિણામના આધારે ફોર્મ ભરી શકશે. સેમેસ્ટર એકથી ચારના કુલ ગુણના પચાસ ટકા તથા સેમેસ્ટર પાંચમાં કુલ ગુણ ભારાંક પચાસ ટકાને આધારે મેરિટ બનાવવામાં આવશે.
વાર્ષિક પરીક્ષા પદ્ધતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રથમ અને બીજા વર્ષના પચાસ ટકાના ભારાંકના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. 200 રૂપિયા પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે. વિદ્યાર્થીઓ નજીકની શાળા કે પછી કોલેજમાં જઈને પણ પચાસ રૂપિયા આપીને ફોર્મ ભરી શકશે. છેલ્લા વર્ષમાં નાપાસ થશે તે વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવામાં આવશે.
નવું સેમેસ્ટર શરૂ કરવા આદેશ, અઠવાડિયે 30 કલાકનું ઓનલાઈન એજ્યુકેશન અપાશે
યુનિવર્સિટીએ કોલેજો અને ડિપાર્ટમેન્ટને નવું સેમેસ્ટર શરૂ કરવા માટે આદેશ કર્યો છે. યુનિવર્સિટીએ નોટિફિકેશન જાહેર કરતા કહ્યું હતું કે અંડર ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર બે, ચાર અને છનું, પોસ્ટ ગ્રેજ્યુએટમાં સેમેસ્ટરમાં બે અને ચારનું, ઈન્ટિગ્રેટેડમાં સેમેસ્ટર બે, ચાર, છ, આઠ અને દસ શરૂ કરવાના રહેશે. અઠવાડિયામાં 30 કલાકનું ઓનલાઇન એજ્યુકેશન આપવાનું રહેશે.
આ પણ વાંચો : Dubai Textile Expo: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દુબઈ ખાતે ફેબ્રુઆરીમાં ત્રણ દિવસીય ટેક્સ્ટાઈલ એક્ઝિબિશનનું આયોજન