ગોવાના બીચને ટક્કર મારતો બીચ શિવરાજપુરમાં બનશે, પરંતુ દારુની છુટછાટ નહીં અપાય: CM વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચની સમીક્ષા કરી હતી. સાથે તેઓએ અહીં વિકાસના કામો અંગે પણ વાત કરી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) 2 દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે છે. મુખ્યપ્રધાને દેવભૂમિ દ્વારકા (Devbhumi dwarka)ની મુલાકાત પણ લીધી હતી. વિજય રૂપાણીએ શિવરાજપુર બીચની મુલાકાત લઈને પ્રવાસન પ્રવૃતિને વેગ મળે તે માટે કેટલાક સુચનો કર્યા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચની સમીક્ષા કરી હતી. સાથે તેઓએ અહીં વિકાસના કામો અંગે પણ વાત કરી હતી. હાલ શિવરાજપુર બીચ પર 20 કરોડના કામો ચાલી રહ્યા છે. જ્યારે 80 કરોડના વિકાસ કામોના ટેન્ડર પ્રક્રિયાથી બીચના કામોને વેગ મળશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે હાલમાં દ્વારકાધીશ મંદિરના શિખર ધજા પર વીજ પડી હતી, તેને લઈ ખાસ ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.
વધુમાં કહ્યું હતું કે અહીં શિવરાજપુર બીચ પર દારૂની છૂટછાટ નહીં મળે, અહીં સંપૂર્ણ દારૂબંધી રહેશે. અહીં લોકો સ્વચ્છ દરિયાકિનારે પરિવાર ન્હાવાનો આનંદ માણી શકશે. શિવરાજપુર બીચ ગોવાના બીચ કક્ષાનો બીચ બનાવાશે. અહીં સુંદર દરિયાકિનારો આવેલ છે, ત્યારે અહીં પ્રવાસન વિભાગને વેગ મળશે સાથે વેપાર ધંધામાં પણ સ્થાનિકોને વધુ રોજગાર મળશે. દ્વારકાના પ્રવાસે આવેલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી શિવરાજપુર બીચ બાદ દ્વારકા રાત્રી રોકાણ કરશે અને ત્યારબાદ ગુરુવારે તેઓ ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવશે.
આ પણ વાંચો: ખેડૂતોમાં ખુશીનો માહોલ, રાજ્યમાં આગામી 5 દિવસ યથાવત રહેશે મેઘરાજાની મેઘમહેર