દેવભૂમિ દ્વારકામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી, તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ (Orange alert) અપાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
હવામાન વિભાગની આગાહી (IMD Forecast) પ્રમાણે દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ (Orange alert) અપાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા તંત્રને સૂચના અપાઈ છે. તો વરસાદની ગંભીર પરિસ્થિતિ બાબતે હેલ્પ લાઈન શરૂ કરાઈ છે. નાગરિકોને ફોન નંબર 02833232215 તેમજ ટોલ ફ્રી 1077 તથા 7859923844 પર જાણ કરવા જણાવાયું છે. નીચાણવાળા વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ ભયજનક રોડ પર બેરિકેટ મૂકવા આદેશ કરાયા છે.
જ્યારે બીજી તરફ વરસાદ હોવા છતા દેવભૂમિ દ્વારકાનો સાની ડેમ આ વર્ષે પણ ખાલી રહેશે. ડેમના દરવાજાનું કામ પૂર્ણ ન થતાં ચાલુ વર્ષે ડેમ ખાલી રહેશે. ડેમના સમારકામને લઈ પાણીનો જથ્થો વેડફાઈ રહ્યો છે. ડેમમાંથી લાખો ગેલન પાણી દરિયામાં વહી જતું હોવાનો આરોપ છે. આરોપ છે કે, છેલ્લા પાંચ વર્ષથી સાની ડેમ ખાલી છે. એક વર્ષ ટેન્ડર પ્રક્રિયામાં, જ્યારે એક વર્ષ ડેમને તોડવામાં અને ગત વર્ષથી સાનીડેમના સમારકામની શરૂઆત થઈ છે જે કામ હજુ પૂર્ણ થયું નથી. સિંચાઈનું પાણી દરિયામાં વહી જતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 6, 7, 8 અને 9 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જયારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. તો ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની શકયતા છે. ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.