ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી 26 બોટને કરાઇ સસ્પેન્ડ, વધુ ભાડા અને ઓવર કેપેસિટીને લઈ મેરિટાઈમ બોર્ડનો નિર્ણય
મોરબી દુર્ઘટના (Morbi tragedy) બાદ શીવરાજપુર બીચ, ગોમતી ઘાટ, સુદામા સેતુ સહિતના મહત્વના સ્થળો ઉપર બચાવ કામગીરી માટેના સાધનો અને તરવૈયાઓ પણ તહેનાત કરવામાં આવ્યા છે. ઓખા બેટ વચ્ચે 183 બોટનું રજિસ્ટ્રેશન થયું છે.
મોરબી દુર્ઘટના બાદ દેવભૂમિદ્વારકા જિલ્લાનું વહીવટી અને પોલીસ તંત્ર જાગ્યું છે. વિવિધ સ્થળોએ સાવચેતી રુપ પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રવાસન સ્થળો પર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ઓખા-બેટદ્વારકા વચ્ચે ચાલતી 26 બોટોને સસ્પેન્ડ કરી દેવાઈ છે. ઓખા જેટીથી બેટ દ્વારકા તરફ ફેરી સર્વિસ ઉપર દેખરેખ રાખવા માટે દ્વારકા પ્રાંત અધિકારી, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર, ઓખા પોર્ટ ઓફિસર તેમજ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત અને રેસ્ક્યૂ ટીમ સાથે કેમ્પ કરવામાં આવી રહ્યા છે.
મોરબી દુર્ઘટના બાદ શીવરાજપુર બીચ, ગોમતી ઘાટ, સુદામા સેતુ સહિતના મહત્વના સ્થળો ઉપર બચાવ કામગીરી માટેના સાધનો અને તરવૈયાઓ પણ તહેનાત કરવામાં આવ્યા છે. ઓખા બેટ વચ્ચે 183 બોટનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાંથી અત્યારે 100 જેટલી બોટ કાર્યરત છે. લાયસન્સ ધરાવતી બોચમાં 50, 70, 100 અને 120 મુસાફરોની કેપેસિટી ધરાવતી બોટોમાં સફર કરવામાં આવે છે. પહેલા ખીચોખીચ મુસાફરો ભરવામાં આવતા હતા. પરંતુ મોરબીની ઘટના બાદ તંત્ર જાગતા ઓખા બેટ પર બોટમાં કેપેસિટી મુજબ મુસાફરો ભરાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન 25 બોટ 8 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે બે દિવસ પહેલા જ બેટ દ્વારકાનો બોટનો એક વીડિયો સામે આવ્યો હતો. દ્વારકામાં ફેરી બોટમાં ભારે ભીડમાં જઈ રહેલા લોકો નજરે પડી રહ્યા હતા. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસમાં જીવના જોખમે લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતા. બોટમાં લાઇફ જેકેટ વિના મુસાફરી કરતાં યાત્રિકો નજરે પડયા હતા. સામાન્ય દિવસોમાં આવા દ્રશ્યો કદાચ જોવા ન મળે, પરંતુ દિવાળીના તહેવારને લઇને બેટ દ્વારકામાં આ માનવ મહેરામણ ઉમટી પડયું હતું. ફેરીબોટમાં કેપીસિટી કરતા વધુ યાત્રિકોને બેસાડયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ હવે તંત્ર જાગૃત થયુ છે.