Devbhoomi Dwarka: જિલ્લામાં નોંધપાત્ર વરસાદ, ખંભાળિયામાં વીજપોલમાં થયા ભડકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને પગલે સ્થાનિક નદી, નાળાઓમાં નવા નીરની આવક થઈ હતી તો ખંભાળિયામાં (Khambhaliya)વરસાદ તેમજ વાદળછાંયા વાતાવરણ વચ્ચે પાંડેશ્વર મંદિર નજીકના એક વીજ પોલમાં શોર્ટ સર્કિટને કારણે તણખા થયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે. ભાણવડમાં (Bhanvad) શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભાણવડના સેધાખાઈ, આંબેડીમાં વરસાદ થયો હતો. જેના કારણે સેધાખાઈ ખોઝ વે પર પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળ્યો હતો તો દેવભૂમિ દ્વારકામાં કોલવા, માંઝા અને આસપાસના ગામોમાં પણ વરસાદ થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને પગલે સ્થાનિક નદી, નાળાઓમાં નવા નીરની આવક થઈ હતી.
વાદળછાયાં વાતાવરણ વચ્ચે વીજપોલમાં ભડકા
ખંભાળિયામાં વરસાદ તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે પાંડેશ્વર મંદિર નજીકના એક વીજ પોલમાં શોર્ટ સર્કિટને કારણે તણખા થયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વીજવાયરમાં શોટ સર્કિટ થતા ધડાકાભેર તણખા ઝર્યા હતા. દુકાનો ઉપરથી પસાર થતાં વીજ પોલના વાયરોમાં શોટ સર્કિટને પગલે એક પછી એક ધડાકા સાથે તણખા ઝરતા ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી કરી છે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ
મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં હજુ પણ 34 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણના ડોડીયાળા ગામમાં ધોધમાર વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. તો સુરેન્દ્રનગરમાં પણ સાંબેલાધાર વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા હતા. આ તરફ બોટાદ અને ભાવનગરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ત્યારે હવે વરસાદને પગલે ગુજરાતના વિવિધ વિસ્તારમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.
NDRFની કુલ 5 ટીમ ગુજરાતમાં
ગુજરાતમાં રાજકોટમાં 3 અને સુરત-પાલનપુરમાં NDRFની એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે. તો 3 ટીમમાં કુલ 75 જેટલા જવાનો રાજકોટ પહોંચ્યા છે. આ તમામ જવાનોને ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આફત વચ્ચે NDRFની આ ટીમને મોકલવામાં આવશે.