Cyclone Tauktae Updates : વાવાઝોડા તાઉ તે એ મચાવી તબાહી, 3ના મોત, 2437 ગામમાં અંધારપટ, 40 હજાર વૃક્ષો ધરાશાયી, 196 રસ્તા બંધ, 16500 મકાનો-ઝુપડા ક્ષતિગ્રસ્ત
Cyclone Tauktae Updates : તાઉ તે વાવાઝોડુ જે વિસ્તારોમાંથી પસાર થયુ અને 100 કિલોમીટરથી વધુ પવન ફુંકાયેલો છે તેવા વિસ્તારમાં કાચા પાકા મકાનોના સર્વે કરવામાં આવશે.
તાઉ તે વાવાઝોડાએ ગઈકાલે 17મી મેની રાત્રીએ ગીરસોમનાથ જિલ્લામાં ત્રાટ્કયા બાદ, આજે 18મી મેના રોજ હજુ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોને ઘમરોળી રહ્યું છે. તાઉ તે વાવાઝોડુ લેન્ડફોલ થયુ ત્યારે તેની ગતી 160 કિલોમીટરથી પણ વધુ નોંધાઈ હતી. જ્યારે આજે દિવસના જુદા જુદા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા તાઉ તે વાવઝોડામાં પવનની ગતી પ્રમાણમાં ઓછી થઈ રહી છે.
આજે સવારે 100-110 કીલોમીટરની ઝડપે પવન ફુંકાયેલો હતો. જો કે હવે જેમ જેમ સમય વિતતો જશે તેમ તેમ તાઉ તે વાવાઝોડુ વિખરાઈને ડિપ્રેશનમાં ફરેવાશે. જેના કારણે વ્યાપક માત્રામાં વરસાદ વરસશે.
ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ વિરેલા વિનાશની વાત કરીએ તો, 17મી મેથી આજે 18મી મે બપોર સુધીના સમયગાળામાં, વિજળીના 1081 થાંભલાઓ પડી ગયા હતા. જેમા 2437 ગામનો વિજ પૂરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં 40 હજાર વૃક્ષ પડી ગયા હતા. જેના કારણે 196 રસ્તાઓ બંધ થઈ હતા. તાઉ તે વાવાઝોડાને પગલે ફુંકાયેલા ભારે પવનને કારણે 16500 કાચા મકાનો, ઝુપડાઓ તુટી ગયા હતા. તો 35 તાલુકામાં 1 થી લઈને 5 ઈચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
સમગ્ર રાજ્યમાં ૧૪૦૦ કોવિડ હોસ્પિટલોમાંથી ૧૬ હોસ્પિટલોમાં વીજપૂરવઠો પ્રભાવિત થયો હતો. તેમાંથી 12 હોસ્પિટલમાં વીજ પૂરવઠો પૂર્વવત કરી દેવાયો છે. તો ગુજરાતના ઓક્સિજન ઉપ્તાદકોને પણ તાઉ તે ની કોઈ અસર થવા પામી નથી. આ ઉત્પાદકોએ ગુજરાત ઉપરાંત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી રાજ્યમાં ઓક્સિજન મોકલવામાં કોઈ વિક્ષેપ ઉભો થયો નથી.
તાઉ તે વાવાઝોડાને કારણે 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે તાઉ તે વાવાઝોડુ જે વિસ્તારોમાંથી પસાર થયુ અને 100 કિલોમીટરથી વધુ પવન ફુંકાયેલો છે તેવા વિસ્તારમાં કાચા પાકા મકાનોના સર્વે કરવામાં આવશે. રાજ્યમાં 35 તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ વરસાદ બગસરામાં 9 ઇંચ તેમજ ગીરગઢડામાં 8 ઈંચ, ઊનામાં 8, સાવરકુંડલામાં 7 અને અમરેલીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે આજે દિવસ દરમિયાન પણ વરસાદ વરસતો રહ્યો છે.
ગઇકાલે રાત્રે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાંથી ગુજરાત ઉપર ત્રાટકેલુ વાવાઝોડું તાઉ તે વાવાઝોડુ, રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી પસાર થઈને નબળુ પડતા પડતા, આજે મોડી રાત્રી સુધીમાં ઉતર ગુજરાત થઈને રાજસ્થાન તરફ જતુ રહેશે.
ગુજરાત સરકારે લીધેલા, અગમચેતી અને સાવચેતી ભરેલા પગલાને કારણે, જાનમાલને કોઈ મોટુ નુકસાન થયુ નથી. હાલની સ્થિતીએ ગુજરાતનો એક પણ અસરગ્રસ્ત વિસ્તાર કે ગામ સંપર્ક વિહોણા નથી.