ડાંગના અંતરિયાળ વિસ્તારમાંથી વિશ્વ ફલકે પહોંચી આદિવાસી વારલી ચિત્રકળા, સમય સાથે ડિજિટલ યુગમાં આવ્યા ફેરફાર
વારલી ચિત્રકળા એ ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર અને તેને અડીને આવેલ મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આદિકાળથી ચાલતી આવતી આ ચિત્રકળા દેશ વિદેશમાં પ્રચલિત બની છે જોકે હવે ડીજીટલ યુગમાં તેમાં થોડા ફેરફાર આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ પૈકી વારલી એટલે કે કુકણા જાતિ, જેમની પોતાની એક […]
વારલી ચિત્રકળા એ ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર અને તેને અડીને આવેલ મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આદિકાળથી ચાલતી આવતી આ ચિત્રકળા દેશ વિદેશમાં પ્રચલિત બની છે જોકે હવે ડીજીટલ યુગમાં તેમાં થોડા ફેરફાર આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ પૈકી વારલી એટલે કે કુકણા જાતિ, જેમની પોતાની એક પરંપરાગત ચિત્રકળા છે, જેને આપણે વારલી પેઇન્ટિંગ કહીએ છીએ. આ વારલી સમાજમાં જેના ઘરે શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે, લાલ રંગના ગેરુ વડે રંગાયેલ કાચી છાણ માટીની લીપણ વાળી ભીત પર ચોખાના લોટ સાથે ગુંદર ભેળવીને બનાવવામાં આવેલ સફેદ રંગ વડે પ્રસંગો અનુરૂપ ચિત્રો દોરવાની પરંપરા છે. ખેતરમાં નવા પાક આવતા પણ લોકો ઉત્સવ ઉજવે છે અને ઘરોમાં આ ચિત્રો ચીતરાવે છે. ડાંગ જીલ્લાના નાનકડા ભાવાડી ગામમાં રહેતા જયેશભાઈ મોકાસી વર્ષોથી આ ચિત્રો બનાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ જયેશભાઈની આ ચિત્રકળાથી પ્રભાવિત થઈ ચુક્યા છે. જયેશભાઈએ પરંપરાગત ચિત્રકળાને નવું રૂપ આપ્યું છે. ચોખામાંથી બનાવતા રંગના બદલે તેઓ પાકા એક્રેલિક કલર નો ઉપયોગ કરે છે. અને કાચી દીવાલના સ્થાને કેનવાસ ઉપર તેઓ ચિત્રો દોરે છે. જયેશભાઈએ તેમના ઘરને એક આર્ટ ગેલેરી બનાવી દીધી છે. જ્યાં નાના મોટા અસંખ્ય ચિત્રો જોવા મળે છે.
હજારો વર્ષ જૂની આદિવાસીઓની આ સાંસ્કૃતિક કળાને લોકોને એટલી પસંદ છે કે જંગલ વિસ્તારથી નીકળી હવે આ એ શહેરોની મોટી હોટેલોમાં, જાહેરસ્થળોમાં અને સરકારી કચેરીઓમાં પણ આ ચિત્રકળા શુસોભન માટે મુકવામાં આવે છે. બદલાતા સમય સાથે લુપ્ત થતી આ કળાને ને ડાંગના જયેશભાઈએ જાળવી રાખી છે અને તેમના દીકરા કિરણ ને પણ આ કળામાં પારંગત બનાવી સંસ્કૃતિની રક્ષા કરવા પ્રયત્નો કરે છે. પ્રકૃતિને માનનારા આદિવાસીઓ છાણ માટીના ઉપયોગથી બનેલી ભીત ઉપર ચોખામાંથી બનાવેલ રંગ નો ઉપયોગ કરતા જોકે ચિત્રને લાંબા સમય સુધી ટકાવી રાખવા કેનવાસ અને ફેબ્રિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે. કિરણ મોકાસીના બનાવેલ ચિત્રોની આજે દેશ વિદેશમાં માંગ છે. હાલમાંજ અમદાવાદ ખાતે આવેલ એન્ટી કરપ્શન બ્યુરોની કચેરીમાં એક ભીત ઉપર તેણે વારલી પેન્ટિંગ કર્યું છે જે કચેરીની શોભા વધારે છે.
હવે તમે જ્યારે પણ સાપુતારાના પ્રવાસે જાવ ત્યારે વઘઈ તાલુકાના ભવાડી ગામે જયેશભાઈ ના ઘરની મુલાકત અવશ્ય લેજો, ત્યાં તમને આવા અનેક ચિત્રો જોવા મળશે અને તમારા ઘરની શોભા વધારવા તમે એને ખરીદને સાથે લઇ પણ જજો આવું કરવાથી તમે પણ આ પરંપરાગત ચિત્રકળાને સાચવવામાં મદદરૂપ થઇ શકશો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો