પ્રાકૃતિક ખેતી કરતા ડાંગના ખેડૂતો સામે દેશવાસીઓ આશાની મીટ માંડી રહ્યા છે : રાજયપાલ આચાર્ય દેવવ્રત
રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લાને રાજ્યનો સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લાનુ બહુમાન પ્રાપ્ત થયું, આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ ના કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, વનવાસી બંધુઓની પ્રાકૃતિક કૃષિથી થયેલી ક્રાંતિ જોવા દેશ અને દુનિયાના લોકો ડાંગ આવશે એ દિવસો હવે દૂર નથી. મુખ્યમંત્રી “આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ” અભિયાન અન્વયે ગુજરાતના છેવાડાના વનવાસી પ્રદેશ ડાંગને, સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમા ડાંગના મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલા કાર્યક્રમમા સંબોધન કરી રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લાને રાજ્યનો સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લાનુ બહુમાન પ્રાપ્ત થયું, આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ ના કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા.
ડાંગના ખેડૂતો સામે રાજ્ય અને દેશના લોકો આશાની મીટ માંડી રહ્યા છે, તેમ જણાવતા ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ “આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ બાદ, ડાંગના ખેડૂતો અને તેમના ખેત ઉત્પાદનની માંગ વધવા સાથે દેશના લોકો પ્રાકૃતિક ખેતી કરતા ડાંગી ખેડૂતોને સન્માનની દ્રષ્ટિએ જોશે તેમ જણાવ્યું હતું.
ગાય, ગોબર, અને ગૌમૂત્રનુ મહત્વ વર્ણવતા રાજયપાલએ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ની ભાવના સાથે ખેત ઉત્પાદન કરતા ડાંગના ખેડૂતોને અભિનંદન પાઠવી ખેતીમા થતા નિંદામણ/કચરાને કંચન સમજવાની અપીલ કરી તેના ઉપયોગનુ મહત્વ વર્ણવ્યું હતું.
રસાયણ મુક્ત ખેતી, અને જીવામૃતને જીવનનુ અમૃત સમજવાની અપીલ કરતા રાજયપાલએ ધરતીનુ ધન ફળદ્રુપતા છે તેમ જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતીને અપનાવીને ખેડૂતો ક્રમશઃ તેનુ ઉત્પાદન વધારી શકે છે તેમ જણાવી રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓછા ખેત ઉત્પાદન સામે રાજ્ય સરકારની સહાય યોજના, અને ગૌ ઉછેર માટે અપાતી સહાયનો ઉલ્લેખ કરીને, પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો અવાર-નવાર અહીંની મુલાકાત લઈ ખેડૂતોને માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું હતું.
દેશ આખાના ખેડૂતો અહીના પરિશ્રમી ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ લેશે તેવો આશાવાદ વ્યક્ત કરતા રાજયપાલએ ડાંગના સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે રાજ્ય સરકાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી રહી છે તેમ જણાવ્યું હતું.ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી, જમીન, અને આબોહવા આપવા સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપવાનુ પવિત્ર યજ્ઞકાર્ય ડાંગના ખેડૂતો કરી રહ્યાં છે, જેમને રસાયણનો ત્યાગ કરીને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરવાનુ આહ્વાન પણ રાજયપાલએ કર્યુ હતુ. ડાંગને પ્રાકૃતિક ખેતી માટે પસંદ કરીને રાજ્ય સરકારે ખુબ જ ઉપકારક કાર્ય કર્યું છે તેમ જણાવતા રાજયપાલએ ડાંગના ખેડૂતોને ખુશહાલ અને સમૃદ્ધ થવાના સાધુવાદ સાથે આશીર્વચન પાઠવ્યા હતા.