Saputara: ડાંગનાં સાપુતારામાં ઉમટી રહ્યા છે હજારો પ્રવાસીઓ, હોટેલથી લઈ ટુરીસ્ટ સ્પોટ માટે હજુ સુધી કોઈ જાહેરનામું નહી
પ્રવાસીઓ(Tourist)થી ઉભરાઈ રહેલા સાપુતારમાં જો કે તંત્ર દ્વારા ખાસ કોઈ ગાઈડલાઈન (Corona Guideline)બહાર પાડવામાં ન આવી હોવાનાં કારણે તે ત્રીજી લહેરને આમંત્રણ આપનારૂ સ્પોટ બની શકે છે
Saputara: કોરોનાની બીજી લહેર(Corona Second Wave) નબળી પડતા જ તાનમાં આવી ગયેલા પ્રવાસીઓએ હિલસ્ટેશન (Hill station) તરફ દોટ મુકી છે. ગુજરાતનાં પ્રવાસીઓની વાત કરીએ તો એક માત્ર હિલસ્ટેશન સાપુતારા (Saputara)માં પ્રવાસીઓનો જાણે ધોધ વહી રહ્યો છે. ડાંગ જીલ્લા(Dang District)માં સામાન્ય દિવસમાં આવતા પ્રવાસીઓવી સરખામણીમાં આજકાલ તેમની સંખ્યા વધીને 40 થી 40 હજાર પર પહોચી ગઈ છે. શનિ-રવિની રજામાં પ્રવાસીઓ(Tourist)થી ઉભરાઈ રહેલા સાપુતારમાં જો કે તંત્ર દ્વારા ખાસ કોઈ ગાઈડલાઈન (Corona Guideline)બહાર પાડવામાં ન આવી હોવાનાં કારણે તે ત્રીજી લહેરને આમંત્રણ આપનારૂ સ્પોટ બની શકે છે.
કોરોનાની બીજી લહેર હજુ થમી નથી ત્યાં who એ ત્રીજી લહેરની સંભાવના સાથે ચેતવણી આપી દીધી છે. આ ત્રીજી લહેરની ચેતવણીને ધ્યાનમાં રાખી કેન્દ્રના આરોગ્ય વિભાગે પર્યટન સ્થળોએ થતી ભીડ ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારની ટકોર બાદ ઉત્તરાખંડ સરકારે ત્યાના પર્યટન સ્થળો માટે જાહેરનામું બહાર પાડ્યું, જોકે ગુજરાત સરકાર દ્વારા આવા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. રાજ્ય સરકાર અને ડાંગ વહીવટી તંત્ર પણ રાજ્યના એક માત્ર ગિરિમથક ખાતે થતી ભીડ અટકાવવા નિયમ બનાવે એ જરૂરી છે.
દેશમાં સંભવિત કોરોના ની ત્રીજી લહેરને જોતા સરકાર દ્વારા હજુ પણ ઘણા ક્ષેત્રોમાં નિયંત્રણ રાખવામાં આવ્યા છે. રાજ્યોમાં સંપૂર્ણ અનલોક કરવામાં નથી આવ્યું. જોકે સરકારે આપેલી છૂટનો ઉપયોગ કરતા શહેરી જનો કોવીડ ના નિયમો ભૂલી રહ્યા છે. દેશમાં મોટા ભાગના હિલ સ્ટેશનો ઉપર હજારો, લાખોની સંખ્યામાં પ્રવાસીઓની ભીડના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેને જોતા, કેન્દ્રિય આરોગ્ય વિભાગે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે દેશના 8 રાજ્યમાં આવેલા પર્યટન સ્થળો ઉપર ભીડને લઈને નિવેદન આપતા સ્પષ્ટ કહ્યું હતું કે હિલ સ્ટેશનો ઉપર આ પ્રકારની ભીડ એ કોરોના વાયરસને આમંત્રણ છે.
આપણે સમજવાની જરૂર છે કે હજુ બીજી લહેર પૂરી થઈ નથી, હજુ પણ કેટલાક રાજ્યોમાં બીજી લહેરના સંક્રમણ કેસ સામે આવી રહ્યા છે. સચિવના આ નિવેદન બાદ ઉતરાખંડ સરકારે મસુરી,નૈનીતાલ ખાતે પર્યટક સ્થળોએ આવતા પ્રવાસીઓની સંખ્યા માર્યાદિત કરવામાટેનો નિર્ણય લેતા નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. જે મુજબ કેટલાક સ્થળોએ સમય મર્યાદા સાથે 50 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં હજુ આ પ્રકારના કોઈ નિયમ કે નિયંત્રણ મુકવાની જાહેરાત કરવામાં આવી નથી.
ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોતા ગુજરાતમાં ત્રીજી લહેર માટે સાપુતારા એપી સેન્ટર બને તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ સપ્તાહથી સતત લાખોની સંખ્યાના પ્રવાસીઓ આવતા હોટેલો માં હાઉસ ફૂલના પાટિયા જોવા મળે છે. ટેબલ પોઈન્ટ, સનરાઈઝ, સનસેટ પોઈન્ટ સહિત બોટિંગ અને પેરાગ્લાડીંગ ઉપર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ફરતા સહેલાણીઓ કોરોનાનો ડર ભુલાવીને મોજ મસ્તી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ડાંગ જીલ્લા વહીવટી તંત્રએ ચોમાસામાં નદીઓ, તળાવો અને નાના મોટા ધોધ સહિત કેટલાક સ્થળોએ નો સેલ્ફી ઝોન જાહેર કરીને શહેરો માંથી આવતા પ્રવાસીઓની ચિંતા કરી હોય તેમ સલ્ફી અને ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. પરતું કોરોનાની બીજી ઘાતક લહેરના પરિણામો બાદ પણ ડાંગ જીલ્લાના પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની ભીડ ઉપર કોઈ નિયંત્રણ લાવવાના પ્રયત્નો કરવામાં નથી આવ્યા.
જિલ્લા કલેક્ટર ભાવીન પંડ્યા સાથે આ અંગે ટેલીફોનિક વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું કે હાલમાં જે પણ ગાઈડલાઈન છે તે રાજ્ય સરકારની જ છે. આગળ આ સંદર્ભમાં વધુ સઘનતાથી વિચાર કરીને ગાઈડલાઈન લાવીશું અને પ્રવાસીઓ પાલન કરે તેનું ધ્યાન રાખવામાં આવશે.