International Yoga Day 2022 : યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવો જોઈએ : કેબિનેટ મંત્રી, નરેશ પટેલ
ઉલ્લેખનીય છે કે ડાંગના ઐતિહાસિક સ્થળ એવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમા ત્રણ હજારથી વધુ લોકો 'યોગમય' બન્યા હતા.
યોગથી નિરોગી અને તંદુરસ્ત સમાજ નિર્માણની આહલેક જગાવતા ડાંગ(Dang) જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલે ડાંગ સ્વરાજ આશ્રમ સહિત જિલ્લાના 895 થી વધુ સ્થળોએ યોજાયેલા જિલ્લાના ‘યોગ નિદર્શન’ કાર્યક્રમમા પધારેલા પ્રજાજનોને રાજ્ય સરકારવતી આવકારી ‘વિશ્વ યોગ દિવસ’(International Yoga Day 2022 ) ની શુભકામનાઓ પાઠવી હતી. ‘વિશ્વ યોગ દિવસ’ નું મહત્વ અને અગત્યતા વર્ણવતા મંત્રીએ ભારતના ભવ્ય વારસાને વૈશ્વિક ફલક ઉપર ગૌરવ અપાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોનો ખ્યાલ આપી વિશ્વને દિશા દેખાડનારા ‘યોગ’ ને નિરોગી સમાજ નિર્માણ માટે અગત્યનુ માધ્યમ ગણાવ્યુ હતુ.
કોરોનાના કપરા કાળમા ભારતને મહદઅંશે સુરક્ષિત રાખનાર ‘યોગ’ અને ‘આયુર્વેદિ’ નુ મહત્વ વિશ્વ સમસ્તે સ્વીકાર્યું છે ત્યારે આ વર્ષની થીમ ‘માનવતા માટે યોગા’ નુ માહાત્મ્ય વર્ણવતા મંત્રીએ યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવાનુ પણ આહવાન કર્યું હતુ.
આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે મંત્રી સહિત જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ભાજપા પ્રમુખ દશરથભાઇ પવાર, કલેકટર ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપીન ગર્ગ, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો રવિ પ્રસાદ અને દિનેશ રબારી સહિત આહવાના નગરજનો, પ્રશાસનિક અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્વયંસેવકો વિગેરેએ ઉપસ્થિત રહી ‘યોગ નિદર્શન’ કર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે ડાંગના ઐતિહાસિક સ્થળ એવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમા ત્રણ હજારથી વધુ લોકો ‘યોગમય’ બન્યા હતા. આ ઉપરાંત ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે ભારત સરકાર દ્વારા દેશભરના ૭૫ જેટલા આઇકોનિક સ્થળો પૈકીના જિલ્લાના એકમેવ સ્થળ એવા ગિરિમથક સાપુતારા ખાતે પણ, વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
સાથે જિલ્લાના ત્રણેય તાલુકાઓ ખાતે પણ ‘યોગ નિદર્શન’ના કાર્યક્રમો આયોજિત કરાયા હતા. જે મુજબ આહવા તાલુકાનો કાર્યક્રમ આહવાના રંગ ઉપવન ખાતે, વઘઇ તાલુકાનો કાર્યક્રમ વઘઇની સરકારી ખેતીવાડી હાઇસ્કુલ ખાતે, અને સુબિર તાલુકાનો કાર્યક્રમ સુબિરની નવજ્યોત હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. ઉપરાંત જિલ્લાના તમામ ૩૧૧ ગામોના ૮૯૫ સ્થળોએ પણ ‘યોગ નિદર્શન’ યોજાયા હતા. જેમા કુલ ૯૨ હજાર ૭૨૫ થી વધુ લોકો ‘યોગમય’ બન્યા હતા.
યોગ એટલે એક થવું કે બાંધવું. આ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ યુજ છે જેનો અર્થ થાય છે જોડાવું. આધ્યાત્મિક સ્તરે આ સંઘનો અર્થ થાય છે વ્યક્તિગત ચેતનાનું સાર્વત્રિક ચેતના સાથેનું જોડાણ. વ્યવહારિક સ્તરે, યોગ એ શરીર, મન અને લાગણીઓને સંતુલિત અને સુમેળ સાધવાનું સાધન છે.