Gujarat Election 2022 : ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીની ભાજપામાં ઘરવાપસી, સન્માન ન મળવાના આક્ષેપ સાથે ભાજપથી છેડો ફાડ્યો હતો
આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની વાતને લઈને રાજા ધનરાજસિંહ એ ખુલાસો આપતા કહ્યું હતું કે હું આપમાં જોડાયો ન હતો પરંતુ મારા મિત્ર એવા ડાંગ જિલ્લા આપના પ્રમુખ જોસેફભાઈ સાથે તેમના કામે સુરત જવાનું થયું ત્યારે એક રાજા તરીકે મારું સ્વાગત કરવામાં આવ્યું જોકે આ સ્વાગત ફૂલોના હાર ને બદલે આપ ના ખેશ થી કરવામાં આવતા વિવાદ થયો હતો.
વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) નજીક આવતાજ ડાંગ જિલ્લામાં રાજકીય ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સુબિર તાલુકામાં ભાજપ માંથી કાર્યકરો અને હોદ્દેદારો એ રાજીનામુ આપવાના અહેવાલો બાદ આ પંથકમાં ભાજપને રાજકીય નુકસાન ભય સતાવા લાગ્યો હતો. બીજીતરફ જિલ્લાના મુખ્યમથક સહિત ગ્રામીણ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના તેજ ચૂંટણી પ્રચાર અને સદસ્યતા અભિયાનથી પણ ચિંતા ફેલાઈ હતી. આ વચ્ચે ભાજપાએ પણ મોટો દાવ ખેલી ડાંગના મોભી ગણાતા એવા ડાંગ વાસુરણા સ્ટેટના ના ‘રાજા’ ને ભાજપ સાથે જોડી તેમની ઘર વાપસી કરી છે. રાજાએ તાજેતરમાં આપ નો ખેશ ધારણ કરી લેતા ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઇ હતી. ચાર માસ અગાઉ ભાજપમાંથી નિષ્ક્રિય થવાની જાહેરાત કરી સુરત ખાતે આમ આદમીનો ખેશ પહેરનાર રાજા ધનરાજસિંહ સૂર્યવંશીને ફરી એકવાર મનાવી લેવાયા છે. ભાજપમાં સક્રિય રહીને અનેક હોદ્દા ઉપર કામ કરનાર ડાંગ જિલ્લાના મોભી એવા રાજા ને જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલે સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ દશરથભાઈ પવાર, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીત, અને મહામંત્રી રાજેશ ગામીત તેમજ અન્ય હોદ્દેદારો ની હાજરીમાં ફરી એકવાર ભાજપનો ખેસ પહેરાવીને ઘરવાપસી કરાવી છે.
યોગ્ય સન્માન ન મળવાના આક્ષેપ સાથે ભાજપથી છેડો ફાડ્યો હતો
રાજા ધનરાજસિંહ સૂર્યવંશી અગાઉ ભાજપમાં અનેક હોદ્દાઓ ઉપર કામ કરી ચુક્યા છે. જોકે ડાંગ જિલ્લાના રાજા તરીકે આદિવાસી ઓમાં ભારે માન સન્માન ધરાવતા રાજાનું સરકારી તેમજ ભાજપના કાર્યક્રમોમાં યોગ્ય સન્માન ન જળવાતું હોવાના આક્ષેપ સાથે નારાજ થયા હતા અને ભાજપ સાથે સંબંધ તોડવાની જાહેરાત કરી હતી.
મંત્રી નરેશ પટેલે ભાજપમાં ઘરવાપસી કરાવી
એક રાજા ને મળવા પાત્ર માન અને સન્માન ની ગરિમા ધ્યાનમાં રાખવાના પ્રયાસની ખાતરી સાથે પ્રભારી મંત્રી નરેશ પટેલે રાજા સાથે ચર્ચા કરી તેઓની નારાજગી દૂર કરી હતી. નારાજગી દૂર થતાંજ ફરી એકવાર ભાજપમાં સક્રિય બનાવાયા છે.
હું આપમાં જોડાયો ન હતો : રાજા ધરાજસિંહ સૂર્યવંશી
આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની વાતને લઈને રાજા ધનરાજસિંહ એ ખુલાસો આપતા કહ્યું હતું કે હું આપમાં જોડાયો ન હતો પરંતુ મારા મિત્ર એવા ડાંગ જિલ્લા આપના પ્રમુખ જોસેફભાઈ સાથે તેમના કામે સુરત જવાનું થયું ત્યારે એક રાજા તરીકે મારું સ્વાગત કરવામાં આવ્યું જોકે આ સ્વાગત ફૂલોના હાર ને બદલે આપ ના ખેશ થી કરવામાં આવતા વિવાદ થયો હતો.