Dang : ડાંગ બેઠક હાથમાંથી સરકી ન જાય તે માટે ભાજપા નેતાઓએ આદિવાસી વિસ્તારોમાં સમસ્યાઓના હલ અને જીતના મુદ્દાની શોધ શરૂ કરી
સૌ પ્રથમ ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે વઘઇ ખાતે અંબાજી માતા ના મંદિરે દર્શન કરી આશીર્વાદ લઈ વસાવાએ પ્રવાસ શરૂ કર્યો હતો. પૂર્વ મંત્રીએ ચિચીનાગાંવઠા ગામે કોટવાળીયા સમાજ ની મુલાકત લઈ તેમની સમસ્યા જાણી હતી.
ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ દ્વારા વિધાનસભા ચૂંટણી ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ ની પરંપરાગત વોટબેંક ગણાતા આદિવાસીઓને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટી એ આવખતે કમર કસી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના દક્ષિણ ગુજરાતના પ્રવાસ અગાઉ ડાંગ(Dang) વિધાનસભા મતક્ષેત્રમાં દિગ્ગ્જ નેતાઓના આંટાફેરા વધ્યા છે. ભાજપના કેટલાક આગેવાનોને ત્રણ દિવસના ચૂંટણી લક્ષી પ્રવાસ કાર્યક્રમ આપવામાં આવ્યા છે. હાલ ડાંગ જિલ્લામા પૂર્વ આદિજાતિ અને વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવા(Ganpat Vasava)એ ત્રણ દિવસનો ડાંગ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો.
સૌ પ્રથમ ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે વઘઇ ખાતે અંબાજી માતા ના મંદિરે દર્શન કરી આશીર્વાદ લઈ વસાવાએ પ્રવાસ શરૂ કર્યો હતો. પૂર્વ મંત્રીએ ચિચીનાગાંવઠા ગામે કોટવાળીયા સમાજ ની મુલાકત લઈ તેમની સમસ્યા જાણી હતી. કોટવાળીયા સમાજના આગેવાનો એ જર્જરિત મકાન રીપેરીંગ કરવા અને નવા આવાસ ફાળવણી માટેની રજુઆત કરી હતી. અહીંથી પ્રવાસને આગળ ધપાવતા વઘઇ એપીએમસી ખાતે વઘઇ મંડળના આગેવાનો સાથે મિટિંગ કરી આવનારી વિધાનસભા ની ચૂંટણી ને લઈને માર્ગદર્શન આપ્યું હતું.
ગિરિમથક સાપુતારા ખાતે રેકડી બજારમાં કાર્યકરો સાથે ચાય પે ચર્ચા કરી વિકાસ કામોની સમીક્ષા કરી સ્થાનિક વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રવાસીઓ ધમધમતા સાપુતારામાં સ્વચ્છતા રાખવામાં તંત્ર ને સાથ આપવા બદલ વેપારીઓને અભિનંદન આપ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન જિલ્લાની આરોગ્ય લક્ષી, પ્રધાનમંત્રી આવાસ ને લગતી અને ચોમાસામાં ડૂબાણમાં આવતા ગામો ની સમસ્યા ના કાયમી ઉકેલ એવા બની રહેલા નદી ઉપરના પુલ, અને નાળા ના કામો ની પણ જાત મુલાકાત લીધી હતી.
સાપુતારા ખાતે રેકડીબજાર માં ભાજપ કાર્યકરો સાથે બેસીને લારી ઉપર ચાય પે ચર્ચા કરતાં પૂર્વ મંત્રી ને જોઈ સ્થાનિક વેપારીઓ આનંદ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ ગણપત વસવાનો આભાર માનતા કહ્યું હતું કે ઘણા વર્ષોમાં પહેલી વાર કોઈ નેતા અમારી વચ્ચે આ રીતે આવ્યા છે. આજ સુધી સાપુતારામાં કોઈ નેતાએ અમારી ખબર અંતર પૂછી નથી.
પોતાના ત્રણ દિવસના ડાંગ જિલ્લાના પ્રવાસ માટે ગણપત વસાવા એ કહ્યું હતુંકે આ એક ચૂંટણી લક્ષી રાજકીય પ્રવાસ છે, ત્રણ તાલુકાના ત્રણ દિવસના પ્રવાસમાં વિવિધ સમાજ, વિવિધ વેપારી મંડળો અને ત્રણ તાલુકાના મંડળો અને આગેવાનોની મુલાકત લઈ લોકોની સમસ્યા તેમન સરકારના વિકાસ લક્ષી કામોની સમીક્ષા કરવાની હતી.