Dang : 7 કેળવણી નિરીક્ષકો ઉપર ગેરરીતિના આક્ષેપ થતા સામુહિક રાજીનામાં ધર્યા, જાણો શું છે સમગ્ર મામલો
જિલ્લા પંચાયત સભ્ય અને શિક્ષણ સમિતિનાં મેમ્બર હરીશભાઇ બચ્છાવ દ્વારા શાળાઓની ગ્રાંટમાંથી પૈસા પાડવામાં આવતા હોવાના પાયાવિહોણા આક્ષેપો કરી અમને બદનામ કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ડાંગ(Dang) જિલ્લા પંચાયત(Jilla Panchayat)નાં વઘઇ બેઠકનાં સભ્ય અને શિક્ષણ સમિતિનાં મેમ્બર હરીશભાઈ બચ્છાવે તાજેતરમાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા કેળવણી નિરીક્ષકો ઉપર ગેરરીતિના આક્ષેપો કાર્ય હતા. શિક્ષણ સમિતિના આ સભ્યએ જિલ્લા વિકાસ અધિકારી(DDO)ને રજુઆત કરી તપાસના આદેશની માંગ પણ કરી હતી. રજુઆતમાં ડાંગ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શિક્ષણાધિકારીનાં મેળાપણામાં જિલ્લાના ત્રણેય તાલુકાનાં કેળવણી નિરીક્ષકો દ્વારા શાળાઓની ગ્રાંટમાંથી પૈસા પડાવી લેવાતા હોવાનાં આક્ષેપો સાથે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના સભ્ય હરીશભાઈ બચ્છાવનાં આક્ષેપ બાદ ઘટનાના ઘેર પ્રત્યાઘાત પડયા છે. 7 જેટલા ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક ધનસુખભાઈ પટેલ, વિજયભાઈ ગાયકવાડ, નવનીતભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, પ્રગ્નેશભાઈ પટેલ, મોહમ્મદ ઇબ્રાહિમ કુરેશી, સુધાકરભાઈ પાટીલે મંગળવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ડાંગને રાજીનામાં ધરી દઈ નારાજગી સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ અધિકારીઓએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં મુખ્ય શિક્ષક તરીકે શાળાની કામગીરી ઉપરાંત તાલુકાની શૈક્ષણિક અને વહીવટી કામગીરી નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થભાવે કામગીરી તેઓ કરતા આવ્યા છે. આમ છતાં તેમના ઉપર થયેલા આક્ષેપ મનોબળ તોડવાનો પ્રયાસ છે.
ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ
જિલ્લા પંચાયત સભ્ય અને શિક્ષણ સમિતિનાં મેમ્બર હરીશભાઇ બચ્છાવ દ્વારા શાળાઓની ગ્રાંટમાંથી પૈસા પાડવામાં આવતા હોવાના પાયાવિહોણા આક્ષેપો કરી અમને બદનામ કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચીંચલીનાં ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક મોહમ્મદ કુરેશીને કેળવણી નિરીક્ષકનાં ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. રજુઆતકર્તા કેળવણી નિરીક્ષકો એક નિરીક્ષક સામે કાર્યવાહીનો વાંધો ઉઠાવ્યો છે. તેમના અનુસાર પુરાવા વગર અને નોટિસ આપી ખુલાસો માંગ્યા વગર શિક્ષણ સમિતિની બેઠકમાં હરીશભાઈ બચ્છાવની રજૂઆતનેપાયાવિહોણી રજૂઆતને ધ્યાનમાં રાખી કેળવણી નિરીક્ષકનાં ચાર્જમાંથી તેમને છુટા કરવામાં આવ્યા છે જે નિયમ વિરુદ્ધ હોવાનું જણાવાયું હતું. સત્તાધારી નેતાઓનનાં ગજગ્રાહમાં કેળવણી નિરીક્ષકને જિલ્લા પંચાયત દ્વારા એકપણ તક આપ્યા વિના સીધું આકરું પગલું ભરવામાં આવ્યું હોવાનો અક્ષરપ કરવામાં આવ્યો હતો.
વિવાદ સંદર્ભે શિક્ષણ સમિતિ નિર્ણય લેશે
વિવાદ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં 7 કેળવણી નિરીક્ષકોનાં સામૂહિક રાજીનામા મળ્યા છે. આ સામૂહિક રાજીનામા અંગેની દરખાસ્ત શિક્ષણ સમિતિમાં મુકાશે. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે.