આદીવાસીઓના વિકાસ માટે PMના માર્ગદર્શનમાં બે દાયકામાં રૂ. 1 લાખ કરોડથી વધુના વિકાસ કાર્યો કર્યા છે : CM
CM એ જણાવ્યું કે, આદિવાસી બાંધવોને તમામ પાયાની સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મળે તેના માટેના દ્વાર રાજ્ય સરકારે ખોલી નાખ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું કે, દાહોદમાં (Dahod) સૂર્યદેવનું પ્રથમ કિરણ પ્રવેશે છે, જે સમગ્ર ગુજરાત ઝળહળતું કરે છે. તે બહુધા આદિવાસી (Adivasi) પંથક દાહોદને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રૂ. 21 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટથી ઝળહળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના યશસ્વી નેતૃત્વથી દુનિયા સમક્ષ વિકાસ કોને કહેવાય અને વિકાસ કેવો હોય તેનું આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
તેમણે ઉમેર્યું કે, અગાઉની સરકારના સમયે આદિવાસી બાંધવો માટે 22 વર્ષમાં માંડ રૂ. 2267 કરોડનું એટલે વાર્ષિક રૂ. 100 કરોડ બજેટ રહેતું હતું. જયારે આદિજાતિ બંધુઓના સર્વાગી વિકાસ માટે પ્રધાનમંત્રીના નેતૃત્વ, સંકલ્પ અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકામાં રૂ. 1 લાખ કરોડથી વધુના વિકાસકાર્યો સંપન્ન કરાયા છે. જ્યારે આગામી વર્ષ 2025 સુધીમાં હજુ રૂ. 1 લાખ કરોડના વિકાસકામોની ભેટ ધરાશે.
તેમણે જણાવ્યું કે, આદિવાસી બાંધવોને તમામ પાયાની સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મળે તેના માટેના દ્વાર રાજ્ય સરકારે ખોલી નાખ્યા છે. મેડિકલના શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણની આદિવાસી યુવાનોને ઘરઆંગણે તક મળી છે. ઓનલાઈન શિક્ષણનો લાભ પણ આદિવાસી યુવાનો મેળવી શકે તે માટે રૂ. 111 કરોડનું નેટવર્ક ઉભું કરાશે તેનું પાકું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
તેમણે ઉમેર્યું કે, સર્વે સન્તુ નિરામયના આદર્શોને ચરીતાર્થ કરતા રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારની આરોગ્ય સુખાકારી માટે 27 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 87 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો પ્રારંભ કરશે. તેમજ 175 એમ્બ્યુલન્સ રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારના આરોગ્ય કલ્યાણ માટે ભેટ આપી છે.તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના સર્વાગી વિકાસ માટે પાયાના વિકાસ કાર્યો પહોંચતા કર્યા છે. નલ થી જળ યોજના થકી પાંચ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી હવે પહોંચતું થયું છે. આદિવાસી વિસ્તારોમાં 6 લાખ પરિવારો માટે પાકા આવાસો બનાવાયા છે.
તેમણે જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આદિવાસી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ અને બલિદાનોના સન્માનમાં નર્મદાના ગરુડેશ્વર ખાતે રૂ. 137 કરોડના ખર્ચે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરાશે. વિકાસ માટે આદિવાસી સમાજ કોઇનો મોહતાજ ના રહે તેવા દ્રઢ નિર્ણયો કરી આદિવાસી ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ દ્વારા આત્મ નિર્ભર ગુજરાત થકી આત્મ નિર્ભર ભારતની વડાપ્રધાનના સંકલ્પનાને સાકાર કરવામાં આવશે.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે ગુજરાતના આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવી તેમના સર્વાંગી વિકાસ માટેવનબંધુ કલ્યાણ યોજના 2007 માં અમલમાં મૂકી હતી અને હવે આ યોજના હેઠળ રૂ. એક લાખ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી હતી. કોરાનાની મહામારીમાં સમયે કોઈ ગરીબ ભૂખ્યો સુવે નહિ તેની દરકાર લઈ નરેન્દ્રભાઈએ વિના મૂલ્યે અનાજ આપવાનું શરૂ કર્યું છે. તેનાથી આદિવાસી સમાજને બહુ ફાયદો થયો છે.
આજનો દિવસ આદિવાસીઓ માટે સુવર્ણ અક્ષરે લખાશે એવી લાગણી વ્યક્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓની સમસ્યાઓને વાચા આપી પીએમ આવાસ યોજના હેઠળ નિર્માણ થતા આવાસો મહિલાઓને નામે કરી મહિલા શક્તિનું સન્માન કરી મહિલાઓને તેમના અધિકારો આપવાનું કાર્ય કર્યું છે.
વડાપ્રધાને પ્રારંભે વિવિધ યોજનાના લાભાર્થી એવા આદિવાસી બાંધવો સાથે સ્નેહસભર સંવાદ સાધ્યો હતો અને સરકારની યોજનાઓના લાભ થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. આ સંવાદ દરમિયાન આદિવાસી સમાજનાં લાભાર્થીઓના ચહેરા ઉપર આનંદ અને આંખોમાં વડાપ્રધાન પ્રત્યેની લાગણી સ્પષ્ટ જોવા મળતી હતી. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો, કોંગ્રેસ નેતા પર નફરતના બીજ વાવવાનો લગાડ્યો આરોપ