Dahod: જિલ્લાની 2 મોડેલ સ્કૂલ બંધ થતા 600થી વધુ બાળકોનું ભવિષ્ય અંધકારમય
Dahod: આદિવાસી સમાજના લોકો રાજ્યના અન્ય જિલ્લામાંથી રોજીરોટી માટે પણ હિજરત કરતાં હોય છે, ત્યારે આર્થિક કટોકટીને પગલે બાળકોને સારું શિક્ષણ આપવું શક્ય નથી.
Dahod : રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં અદ્યતન શિક્ષણ માટે મોડેલ ડે (Model School) સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. જેને પગલે ગ્રામ્ય વિસ્તારના ગરીબ આદિવાસી બાળકો માટે આ શાળાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. પરંતુ એકાએક સરકાર દ્વારા રાજ્યની આઠ શાળા બંધ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના આદિવાસી ખેડૂતો મોટેભાગે ખેતી અથવા મજૂરી કામ પર નિર્ભર હોય છે. અહીંના આદિવાસી સમાજના લોકો રાજ્યના અન્ય જિલ્લામાંથી રોજીરોટી માટે પણ હિજરત કરતાં હોય છે, ત્યારે આર્થિક કટોકટીને પગલે બાળકોને સારું શિક્ષણ આપવું શક્ય નથી. ત્યારે આદિવાસી વિસ્તારોમાં સારા શિક્ષણ માટે સરકાર દ્વારા ચાલતી મોડેલ ડે સ્કૂલથી બાળકોને સારું શિક્ષણ મળી રહ્યું હતું. પરંતુ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
દાહોદ જિલ્લામાં આવેલ ગરબાડા તાલુકાની વજેલાવમાં ચાલતી મોડેલ ડે સ્કૂલ અને ધાનપુર તાલુકાના અગાસવાણીની મોડેલ ડે સ્કૂલ પણ બંધ કરવાના નિર્ણય કર્યો છે. આ મોડેલ સ્કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોની માંગ છે કે આ શાળા ચાલુ રહેવી જોઈએ.
ત્યારે ગરબાડા તાલુકાની વજેલાવ મોડેલ ડે સ્કૂલ બંધ થવાથી શાળામાં અભ્યાસ કરતાં 215 બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડશે. ધાનપુરની અગાસવાણી મોડેલ ડે સ્કૂલમાં અભ્યાસ કરતાં 418 બાળકો શિક્ષણથી વંચિત રહેશે. આ બાળકોને અન્ય શાળામાં મોકલવાથી 5થી 10 કિલોમીટર સુધી દૂર જવું પડી શકે છે, સાથે જ પ્રવેશ પણ મળશે કે નહીં તે પણ એક ચિંતાનો વિષય છે. બંને શાળાઓ બંધ કરવાના નિર્ણયને પગલે વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
એક તરફ કોરાનાની મહામારીને પગલે ખુદ સરકાર તંત્ર દ્વારા ત્રીજી લહેરની તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે આ મોડેલ શાળાઓ બંધ થતા હાલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય તરફ ધકેલાઈ રહ્યું છે, સ્થાનિકો આ અંગે રાજ્ય સરકારના પ્રધાન સહીત તંત્રને આ મોડેલ શાળા ચાલુ રાખવા રજુઆત કરી છે. ત્યારે આ મોડેલ શાળાઓ ફરી શરુ કરાશે? શું બાળકોને અન્ય શાળામાં એડમિશન મળશે કે નહીં તેવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે.