Cyclone Tauktae: વાવાઝોડું નજીક આવી પહોંચ્યું ત્યારે એવું તો શું બન્યું કે હાંસોટ પોલીસ ભૂદેવને શોધવા નીકળી , જાણો રસપ્રદ કિસ્સો વિગતવાર
Cyclone Tauktae નું જોખમ ભરૂચ જિલ્લાના સમુદ્ર કાંઠાના ત્રણ તાલુકાઓ હાંસોટ, વાગરા અને જંબુસર ઉપર સૌથી વધુ હતું અને માટેજ ૩ હજારથી વધુ લોકોનું સ્થળાન્તર કરાવાયું હતું.
Cyclone Tauktae નું જોખમ ભરૂચ જિલ્લાના સમુદ્ર કાંઠાના ત્રણ તાલુકાઓ હાંસોટ, વાગરા અને જંબુસર ઉપર સૌથી વધુ હતું અને માટે જ ૩ હજારથી વધુ લોકોનું સ્થળાન્તર કરાવાયું હતું. વાવાઝોડાની ગંભીરતાને સમજી ૧૦૦ થી વધુ ગામના કાંઠે રહેતા લોકો શેલ્ટર હોમમાં સ્થળાન્તરિત થયા હતા પરંતુ કંટીયાજાળના લોકોએ તંત્રને ઇન્કાર કરી દીધો હતો. ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થતા અધિકારીઓ પણ ગામમાં દોડી ગયા હતા. આખરે એક શરતને આધીન ગ્રામજનો આશ્રય કેમ્પમાં પહોંચ્યા હતા.
એક તરફ તેજ પવન ફૂંકાતો હતો તો તઉ તૈ ના તરખાટ વચ્ચે હાંસોટના શેલ્ટર હોમમાં ભૂદેવને લઈ પોલીસ પહોંચી હતી. એકતરફ ચિંતાનો માહોલ અને વાવાઝોડાથી ખાનાખરાબીનો ભય હતો તે વચ્ચે પોલીસ ભુદેવ લઇ ને આશ્રય કેમ્પમાં પહોંચવા પાછળ વાવાઝોડાને શાંત કરવાની કોઈ પૂજા અર્ચના નહિ પરંતુ જો પોલીસ ભૂદેવને સમયસર કેમ્પમાં ન પહોંચાડે તો કંટીયાજાળ ગામના લોકો કેમ્પમાંથી પરત ચાલ્યા જાય તેમ હતું. વહીવટીતંત્ર આ સ્થાનિકોના માથે જીવનું જોખમ ન આવે તે બાબતને પ્રાથમિકતા આપતું હતું.
વાત ચિંતાજનક સ્તરે પહોંચી હતી. હાંસોટના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે એમ ચૌધરી, પેરોલ સ્કોડના સબ ઇન્સ્પેકટર બી ડી વાઘેલા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર એમ આર સકુરિયાંને સ્થિતિ સાંભળવાની જવાબદારી સોંપાઈ હતી. કોઈપણ ભોગે ગ્રામજનો વાવાઝોડું પસાર થઇ જાય ત્યાં સુધી કેમ્પમાં રહે તે માટે પ્રયત્નો શરૂ થયા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ૧૮ મેં ના રોજ ગામની દીકરી રેખાં રાઠોડના ઓલપાડના યુવાન નિલેશ સાથે લગ્ન નિર્ધારિત થયા હતા. જાન ગામમાં આવી પહોંચી હતી. લગ્ન ન થાય અને જાન પછી વળે તો વહેમ ઉભા થવાનો ભય હતો જે સામે ગ્રામજનો વાવાઝોડાનો સામનો કરી ગામમાં લગ્ન કરવાનું જોખમ ઉઠાવવા જઈ રહ્યા હતા.
આખરે ભરૂચ પોલીસે લગ્ન કરાવી આપવાની જવાબદારી લેતા આ શરતે ગ્રામજનો કેમ્પમાં રોકાયા હતા. પોલીસ તાબડતોબ ભૂદેવને લઇ આશ્રય કેમ્પમાં પહોંચી હતી. આંગળીના વેઢે ગણાય તેટલા પરિવારજનોને હાજર રાખી રેખા અને નીલેશના લગ્નની વિધિ પૂર્ણ કરાઈ હતી.
વાવાઝોડું પસાર થયા બાદ સ્થિતિ સામાન્ય થયા બાદ કન્યાની વિદાય કરવામાં આવી હતી.હાંસોટના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે એમ ચૌધરી એ જણાવ્યું હતું કે એકતરફ ગ્રામજનોની હઠ તો બીજી તરફ વાવાઝોડાનું જોખમ હતું. સમસ્યાનો વચલો માર્ગ કાઢતા શેલ્ટર હોમમાં લગ્ન વિધિ કરાવવામાં આવતા બંને પક્ષે રાહત અનુભવી હતી જોકે શેલ્ટર હોમમાં આશ્રિતના લગ્નવિધિનો કદાચ આ પહેલો મામલો હોઈ શકે છે.