Cyclone Tauktae : હવે વાવાઝોડું ગુજરાતમાં નહીં ટકરાય, ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે કરી આગાહી
Cyclone Tauktae : ભારતીય હવામાન વિભાગે 17-18મી મેના રોજ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય એવી આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીથી વિપરિત આગાહી ખાનગી હવામાન સંસ્થાએ કરી છે.
Cyclone Tauktae : ભારતીય હવામાન વિભાગે 17-18મી મેના રોજ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય એવી આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીથી વિપરિત આગાહી ખાનગી હવામાન સંસ્થાએ કરી છે. જેમાં કહેવાયું છેકે ‘તૌકતે’ વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે, હવે વાવાઝોડું ગુજરાતમાં નહિ ટકરાય, કેરળ દરિયાકાંઠા તરફ વળવાનાં એંધાણ પણ સ્કાયમેટે આપ્યા છે.
ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટની આગાહી
ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરાઇ છે કે તૌકતે વાવાઝોડાએ પોતાની દિશા બદલી લીધી છે. હવે વાવાઝોડું કેરળ દરિયાકાંઠે વળવાનાં એંધાણ દેખાઇ રહ્યાં છે, સાથે જ હવામાન વિભાગની વેબસાઈટ સ્કાયમેટનો દાવો છે કે હવે ગુજરાતમાં વાવાઝોડાનો કોઈ ખતરો નથી.
ભારતીય હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગે શુક્રવારે વાવાઝોડાને લઈને ચેતવણી આપતા જણાવ્યું છે કે લક્ષદ્વિપ ક્ષેત્રમાં દબાણ સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં તબદીલ થઈ જશે. આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. Taukate નામનું આ વાવાઝોડું કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠા વિસ્તારમાં ત્રાટકશે. વાવાઝોડાના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. છેલ્લા 21 વર્ષમાં પહેલીવાર મે મહિનામાં વાવાઝોડું ગુજરાત કાંઠે પહોંચશે તેવી સંભાવના છે.
140થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડું ફૂંકાશે
“તૌકતે” અનુસંધાને ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્રનું ડિપ્રેશન છે, એ તા.15મી મેના રોજ સાઇકલોનમાં પરિણમે એવી પૂરી સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓનાં કેટલાંક ગામોમાં આ વાવાઝોડાની અસર થાય એવી સંભાવના છે. જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે અથડાશે તો હાલના અનુમાન મુજબ 140થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડાનો પવન રહેશે એવું આઈ.એમ.ડી. વિભાગનું અનુમાન છે. એટલું જ નહીં, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પણ પહોંચાડી દેવાયો છે.
સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે વહીવટી તંત્ર સજ્જ
હાલ તો વાવાઝોડાંના સંભવિત ખતરાને લઇને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર થાય એવી શક્યતાઓ છે. જેને ધ્યાનમાં લઇને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઈ નુકસાન ન થાય એ માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ અપાઇ છે. સાથે જ રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સજ્જ છે તેમ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.