Cyclone Tauktae : લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરેલી બસ ફસાઇ, 18થી વધુ જાનૈયા ફસાયા
લગ્નપ્રસંગ પતાવીને પરત ફરતા જાનૈયાઓનની બસ તા'ઉતે વાવાઝોડાના કારણે ફસાઇ ગઇ છે. રાજુલા પાસે જોડિયા-હજરિયા ગામ પાસે આ બસ ફસાઇ છે.
Cyclone Tauktae : તા’ઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાયુ ત્યારબાદ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી તબાહી અને નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે લગ્નપ્રસંગ પતાવીને પરત ફરતા જાનૈયાઓનની બસ તા’ઉતે વાવાઝોડાના કારણે ફસાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે રાજુલા પાસે જોડિયા-હજરિયા ગામ પાસે આ બસ ફસાઇ છે. આપને જણાવી દઇએ કે બસમાં કુલ 18 થી પણ વધારે જાનૈયા સવાર છે. મળતી જાણકારી પ્રમાણે ગઇકાલે મોડી રાત્રે એટલે કે લગભગ 3 વાગ્યાની આસપાસ તા’ઉતે વાવાઝોડાના કારણે બસ ફસાઇ હતી.
આપને જણાવી દઇએ કે તા’ઉતે વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો જેના કારણે લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરેલી બસ રાજુલા પાસે જોડિયા-હજરિયા ગામ પાસે ફસાઇ હોવાની વિગતો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે NDRFની ટીમ દ્વારા આ બસનો સતત સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ બસનો સંપર્ક ન થતા હાલ રાજુલામાં સ્થિત NDRFની ટીમ બસના રેસ્ક્યૂ માટે પહોંચી રહી છે. જો કે આ ઘટનામાં અત્યાર સુધી મળતી વિગતો પ્રમાણે સદ્ભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી.
આપને જણાવી દઇએ કે અરબી સમુદ્રમાં ઉદભવેલુ તાઉ’તે વાવાઝોડુ 17મીને મેની રાત્રે દિવ-ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટક્યુ છે. દીવ- ગીર સોમનાથ જિલ્લામાં જ્યારે વાવાઝોડુ ટકરાયુ ત્યારે પવનની ઝડપ 150થી 180 કિલોમીટરની હોવાનું સામે આવ્યુ છે. તાઉ’તે વાવાઝોડુ ત્રાટક્યાના બે થી અઢી કલાક સુધી તોફાની પવન ફુકાતો રહેશે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ તાઉ’તે વાવાઝોડુ રાત્રીના 8 વાગ્યા બાદ ગીર સોમનાથ જિલ્લા અને દિવ પાસે ટકરાયુ છે. ગીર સોમનાથ જિલ્લામાં ફુકાયેલા પવનની ઝડપ અલગ અલગ નોંધાઈ છે. તાઉ’તે પૂરી તાકાત સાથે ટકરાયુ ત્યારે કોડીનારમાં ફુકાતા પવનની ઝડપ 129 કિલોમીટર નોંધાઈ હતી.