Hardik Patel : ‘કોંગ્રેસ માત્ર લોકોનો ઉપયોગ કરે છે’, રાજીનામુ આપ્યા બાદ હાર્દિક પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર
હાર્દિકે કોંગ્રસ (Congress) પર પ્રહાર કરતા કહ્યું કે, 2017માં અમારો ઉપયોગ કરાયો. અમે અમારા સમાજ માટે સરકાર સામે આંદોલન કરતા હતા. પરંતુ કોંગ્રેસે આ આંદોલનનો લાભ લઈને મેનિફેસ્ટોમાં ક્યાંય પાટીદારનું નામ પણ લીધું નથી.
Hardik Patel Resign : હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ વચ્ચે આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પ્રત્યેનો બાળપો વ્યક્ત કર્યો. પાટીદાર અનામત આંદોલનથી (Patidar Aandolan) ચર્ચામાં આવેલા હાર્દિક પટેલે માત્ર 1,161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે, ત્યારે આજે હાર્દિક પટેલે (Hardik Patel) કહ્યું કે તે ખુલ્લા મને ચર્ચા કરવા પત્રકાર પરિષદના માધ્યમથી લોકો વચ્ચે આવ્યો છે. આ દરમિયાન હાર્દિકે અનેક મુદ્દે કોંગ્રેસને ઘેરી. હાર્દિકે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારથી તે કોંગ્રેસમાં જોડાયો છે ત્યારથી લઈને તેને કાર્યકારી અધ્યક્ષ તરીકેનું પદ સોંપાયું તે દરમિયાન તેને કોઈ જ જવાબદારી સોંપવામાં નથી આવી.
કોંગ્રેસમાં જેટલા મજબુત નેતા આવ્યા તેની સાથે આવું જ થયું છે : હાર્દિક પટેલ
વધુમાં તેણે આક્ષેપ કર્યા કે કોંગ્રેસે ક્યારે પણ ગુજરાત કે ગુજરાતીઓના હિત માટે વિચાર નથી કર્યો. કોંગ્રેસ જાતિવાદી રાજનીતિ કરતી હોવાનો આક્ષેપ હાર્દિકે લગાવ્યો. સાથે જ બળાપો વ્યક્ત કરતા કહ્યું કે માત્ર 7થી 8 લોકો જ કોંગ્રેસને ચલાવે છે. હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ તે ભાજપમાં જશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, પરંતુ આ અંગે સ્પષ્ટતા કરતા હાર્દિકે કહ્યું કે હાલ તે ભાજપમાં જોડાવાનો નથી.
કોંગ્રેસ ગુજરાતમાં કામના લોકોને ઉપયોગ કરે છે, જ્યારે જરૂર હોય ત્યારે લોકોનો ઉપયોગ કરી અને બાદમાં તે જ લોકોને ફેકી દેવાયા હતા. ગુજરાતમાં કોંગ્રેસમાં (Gujarat Congress) જેટલા મજબુત નેતા આવ્યા તેની સાથે આવું જ થયું છે. જ્યારે સાચી વાત કરવાની કોશિશ કરી ત્યારે અમને બદનામ કરવાના કામ કરવામાં આવતું હતું. અમે 300-400 કિમીની પદયાત્રા કરતા હતા ત્યારે અમારો દિલ્હીમાં એસીમાં બેઠેલો નેતા આ પદયાત્રા પર કઈ રીતે પાણી ફેરવી દેવું તેની કોશિશ કરી રહ્યા હતા. કોઈ કોંગ્રેસ છોડી ત્યારે તે વેચાઈ ગયો કે ડરી ગયો કહેવાય છે પણ આટલી મોટી સંખ્યામાં લોકો પાર્ટી છોડી, દેશભરમાં 117 નેતાઓએ કોંગ્રેસ પક્ષે છોડ્યો ત્યારે તમારે તમારી જાત પર ચિંતન કરવાની જરૂર છે.
પાટીદાર આંદોલનનો કોંગ્રેસે ઉપયોગ કર્યો
વધુમાં હાર્દિકે કોંગ્રસ પર પ્રહાર કરતા કહ્યું કે, 2017માં અમારો ઉપયોગ કરાયો. અમે અમારા સમાજ માટે સરકાર સામે આંદોલન કરતા હતા. કોંગ્રેસે આ આંદોલનનો લાભ લઈને મેનિફેસ્ટોમાં ક્યાંય પાટીદારનું નામ પણ લીધું નથી. બીજી બાજુ સરકારે ઉદારતા બતાવી 10 ટકા અનામત આપી છે. આમ આડકતરી રીતે હાર્દિકે પટેલે ભાજપના (BJP Party) વખાણ પણ કર્યા છે.