Gandhinagar: દિવાળી પૂર્વે સરકારી કર્મચારીઓને ભેટ, 560 સરકારી આવાસોનું CM ના હસ્તે લોકાર્પણ
ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે 'વીર ભગતસિંહ નગર’ વસાહતમાં ‘બી’ અને ‘સી’ ટાઇપના કુલ 560 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આવાસોનું આજે લોકાર્પણ કર્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટેના આવાસોનું લોકાર્પણ કર્યું છે. 149.80 કરોડના ખર્ચે નવનિર્મિત 560 બહુમાળી આવાસોનું લોકાર્પણ દિપાવલીના પર્વ પ્રારંભે થતા કર્મચારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો રાજ્ય સરકાર તરફથી સરકારી કર્મચારીઓને દિપાવલી ભેટ અર્પણ કરાઈ છે.
મુખ્યમંત્રીએ આવાસોના લોકાર્પણ વેળાએ એક દિકરી પાસે કુંભ ઘડો મૂકાવી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે ‘સી’ ટાઇપ આવાસ બ્લોકની CM એ પ્રત્યક્ષ મૂલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ આવાસોમાં પૂરી પાડવામાં આવેલી સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતું.
જણાવી દઈએ કે આ આવાસોમાં વીટ્રીફાઇડ ટાઇલ્સ, ફિક્સ ફર્નીચર, PNG ગેસ પાઇપ લાઇન કનેકશન, લિફટ, ફાયર સેફટી સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, વિશાળ પાર્કિંગ અને સિક્યુરિટી કેબિન જેવી અદ્યતન સવલતો પણ પૂરી પાડવામાં આવી છે. આ બાબતે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી હતી.
CM એ આવાસ ફાળવણી પત્રોનું પ્રતિક રૂપે પાંચ લાભાર્થી કર્મયોગીઓને વિતરણ કર્યુ હતું. સરકારી વસાહતોને રાષ્ટ્રવીરોનું નામાભિધાન આપવાની નવતર પરંપરા રૂપે આ 560 આવાસોની વસાહતને ‘‘વીર ભગતસિંહ નગર’’ નામ આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ ‘બી’ ટાઇપના 280 અને ‘સી’ ટાઇપના 280 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વસાહતના લોકાર્પણ કાર્યક્રમમાં માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા. ઉપરાંત સાંસદ નરહરિ અમીન, ગાંધીનગરના નવનિયુકત મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જશવંત પટેલ, સચિવ સંદીપ વસાવા, મુખ્ય ઇજનેર પટેલિયા અને નગરસેવકો, અગ્રણીઓ, શહેર પ્રમુખ રૂચિરભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા. દિપાવલી પર્વ પ્રસંગે સરકારી આવાસની ફાળવણી થવાથી ખૂશહાલ કર્મયોગીઓ તથા તેમના પરિવારજનો આ લોકાર્પણ પ્રસંગે સહભાગી થયા હતા.
આ પણ વાંચો: દિવાળી પહેલા પ્રજાને વધુ એક ડામ: CNG – PNG ના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે ભાવમાં કર્યો વધારો
આ પણ વાંચો: T20 World Cup: ધોની ને પાછળ છોડીને ઇયોન મોર્ગન આ મામલે થઇ ગયો આગળ, મેળવી આ ખાસ ઉપલબ્ધી