Chhota Udepur: પાણી વિના બોડેલી તાલુકાના ચાર ગામના હાલ બેહાલ, પાણી માટે 2 કિલોમીટર દુર સુધી મહિલાઓ કરે છે રઝળપાટ
હાલાકી એવી તો છે કે મહિલાઓ ઓરસંગ નદીના (Orsnag River) આડબંધમાંથી જે પાણી લીકેજ થઈને વહે છે, તે ભરવુ પડી રહ્યુ છે. ગંદા પાણીમાં ઊભા રહીને આ મહિલાઓ સવાર સાંજ માત્ર બે બેડા મેળવવા ભારે મુશ્કેલી વેઠી રહી છે.
આકરો ઉનાળો (Summer 2022) શરુ થતા હવા લોકોની પાણીની સમસ્યા (Water crisis) પણ શરુ થઇ ગઇ છે. છોટાઉદેપુરના (Chhota Udepur) બોડેલી તાલુકાના ચાર ગામમાં પાણી આપવા માટે કનેક્શન તો આપવામાં આવ્યા છે. જો કે લોકોને પાણી મળતુ નથી. જેના કારણે લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે અને લોકો ગંદુ પાણી પીવા માટે મજબુર બન્યા છે. ગ્રામજનોએ બે કિલોમીટર દૂર ઓરસંગ નદીના આડબંધ જવુ પડે છે અને આડબંધના લીકેજમાંથી ટપકતા ગંદા પાણી પીવા માટે લેવા પડે છે. ત્યારે ગ્રામજનો સરકાર તેમની સમસ્યા દુર કરે તેવી માગ કરી રહ્યા છે.
બોડેલી તાલુકાના જોજવા, સૂર્યા, જવેરપુરા, ભદ્રાલી ગામની મહિલાઓને ધોમધખતા તાપમાં પાણી ભરવા માટે ઘરથી દૂર બે કિલોમીટરનો રસ્તો કાપીને જવુ પડે છે. ઉનાળો આવ્યો ત્યારથી તેમને પાણીની ભારે તંગી સતાવી રહી છે. છોટાઉદેપુરના આ ચારેય ગામમાં ઘરે ઘરે નળ તો લાગ્યા છે પણ પાણી પહોચ્યું નથી. પાણીની પાઈપલાઈન આવી પણ પાણીની ટાંકી આજે પણ એક ટીપાં માટે તરસી રહી છે. અધુરુમાં પુરું પાણીના બોર બનાવ્યા છે પણ તેમાંય ખારા પાણી આવી રહ્યા છે. તો બોરના જે ખારા પાણી આવે છે તેને ઢોર પણ પીતા નથી.
પાણી માટેની ગ્રામજનોની જહેમત એ પ્રતિત કરાવવા પુરતી છે કે, પાણી કેટલી હદે ગામલોકોને લાચાર બનાવી રહી છે. બોડેલી તાલુકાના આ વિસ્તારમાં લોકોએ પાણી માટે તંત્રને અનેક રજુઆતો કરી, પણ તંત્ર દ્વારા પાણી માટેની કોઈપણ વ્યવસ્થા લોકોને પુરુ પાડી શકાઇ નથી. માટે જ આ મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવાની ફરજ પડી છે.
હાલાકી એવી તો છે કે મહિલાઓ ઓરસંગ નદીના આડબંધમાંથી જે પાણી લીકેજ થઈને વહે છે, તે ભરવુ પડી રહ્યુ છે. ગંદા પાણીમાં ઊભા રહીને આ મહિલાઓ સવાર સાંજ માત્ર બે બેડા મેળવવા ભારે મુશ્કેલી વેઠી રહી છે. પાણી માટે મહિલાઓની હાડમારી ઓછી કરવા ઘણા સંવેદનશીલ યુવાનો મદદે આવે છે. કલાકો સુધી ટીપું ટીપું પાણી લેવા કતારમાં ઊભા રહેવું અને આડડેમની દીવાલો લાંઘીને જીવનું જોખમ ખેડે છે. એટલું જ નહી. જો એમ કરવા જતા તેમને તે દિવસની મજૂરીનો ભોગ તો આપવો જ પડે છે.
સરકાર લોકોને પાણી મળી રહે તે માટે યોજના બનાવે, વ્યવસ્થાઓ પણ ઊભી કરે, આમ છતાં પણ જો લોકો સુધી પાણી જ ન પહોંચે, તો તેમાં વાંક કોનો ગણવો ? ઘરે ઘરે નળ, પાઈપલાઈન, ટાંકી, બોર બધી જ વ્યવસ્થાઓ છે. પણ પાણી જ નથી અને જવાબદાર અધિકારીઓ જવાબ દેવા તૈયાર નથી. ત્યારે બોડેલી ગામના ચાર ગામના લોકોની વ્યથા જાણી સરકારના પેટનું પાણી હલે તો સારૂ.