Chhota Udepur: જેતપુર ગ્રામ પંચાયતમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળો ફાટી પડવાની દહેશત
છોટાઉદેપુરના (Chhota udepur) પાવીજેતપુર તાલુકામાં કચરાના ઢગની સમસ્યા માથાનો દુખાવો બની છે. જેતપુર ગ્રામ પંચાયતના પરિસરમાં આવેલી શાક માર્કેટમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
એક તરફ ગુજરાતમાં (Gujarat) ઉનાળો (Summer 2022) આકરો બનતો જઇ રહ્યો છે. ગરમીને (Heat) કારણે ગુજરાતના અલગ અલગ શહેરોમાં હીટસ્ટ્રોક, ઝાડા-ઉલ્ટી સહિતના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ છે. બીજી તરફ છોટા ઉદેપુરના (Chhota Udepur) પાવીજેતપુરમાં ગ્રામ પંચાયત પરિસરમાં પડેલા કચરાના ઢગલા જાણે બીજી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા હોય તેવુ લાગે છે. પાવીજેતપુરના ગ્રામ પંચાયતમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.
કચરાથી ખદબદતું પંચાયત પરિસર
છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં કચરાના ઢગની સમસ્યા માથાનો દુખાવો બની છે. જેતપુર ગ્રામ પંચાયતના પરિસરમાં આવેલી શાક માર્કેટમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાક માર્કેટમાં દુકાન ધરાવતા દુકાનદારો પણ અનેકવાર આ અંગે રજૂઆત કરી ચુક્યા છે. પરંતુ સરપંચ રજૂઆત સાંભળવાને બદલે સામી ધમકી આપતા હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે. જો કે પંચાયતની દિવાલો પર સ્વચ્છતાના બેનરો લગાવેલા છે, જે હાલની પરિસ્થિતિને જોતા હાસ્યાસ્પદ લાગી રહ્યા છે. જો આ અંગે કોઈ પગલા ન લેવાય તો આગામી ચોમાસાની સીઝનમાં રોગચાળો ફાટી પડવાની પણ દહેશત જોવા મળી રહી છે.
પાવીજેતપુરમાં ઠેર ઠેર કચરાના ઢગલા
પંચાયત પરિસરમાં રોજ અનેક લોકો પોતાના કામ કરાવવા માટે આવતા હોય છે. જો કે ત્યાં પડેલા કચરાના ઢગલાને કારણે અહીં મચ્છર અને માખીનો પુષ્કળ ઉપદ્રહ જોવા મળી છે. દુર્ગંધથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. ગંદકીના કારણે લોકોને રોગચાળો થવાનો ભય સતાવે છે. આસપાસના લોકો તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ક્યારે તેમને આ સમસ્યામાંથી મુક્તિ મળશે તેની રાહ જોઇ રહ્યા છે.
રોગચાળો ફાટી નીકળવાની દહેશત
સ્વસ્છતા જાળવવાની અપીલ કરતા પંચાયતના પરિસરમાં જ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ચોમાસુ પણ હવે ખૂબ નજીકમાં છે, ત્યારે જો કચરાના ઢગલા ન હટે તો ગંભીર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે.